Gujarat High Court News: અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટી વિવાદમાં નિધિ સોસાયટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ દાખલ કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. કોર્ટે પ્રવર્તમાન જંત્રી મુજબ રૂપિયા 41 કરોડ કોર્પોરેશનમાં જમા કરાવવા અથવા ખુલ્લા પ્લોટનો કબજો 30 સપ્ટેમ્બર-2024 સુધીમાં સોંપવાનો આદેશ કર્યો છે. સ્નેહાંજલિ સોસાયટીના રહીશોએ હંગામી વ્યવસ્થાના ભાગરૂપે નારણપુરામાં આવેલા સરદાર પટેલનગરના આવાસોમા શિફટ થવા બાંહેધરી આપી છે. આ ઉપરાંત આ આવાસોના ભાડા પેટે ગુજરાત હાઉસિંગ બોર્ડ કે કોર્પોરેશન જે નિર્ણય લેશે એ મુજબ ભાડાની ચૂકવણી કરશે.
હાઇકોર્ટનો આદેશ
વર્ષ-2003માં હાલની નિધિ સોસાયટી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ખુલ્લા પ્લોટનો કબજો મેળવવા પિટિશન દાખલ કરી હતી. ત્યારબાદ વખતોવખત સ્નેહાંજલિ અને નિધિ સોસાયટી દ્વારા એકબીજાની સામે તથા ઔડાની સામે સિટી સિવિલ તથા હાઈકોર્ટમાં દાવાઓ કરવામા આવ્યા હતા. સ્નેહાંજલિ સોસાયટીના રહીશો વર્ષોથી એ જગ્યાએ રહેતા હોવાથી ઔડા દ્વારા જયાં સોસાયટી આવેલી છે ત્યાં ટી.પી.સ્કીમ વેરીડ કરીને સેલ ફોર રેસિડેન્શિયલનું રિઝર્વેશન મૂકી ઔડાની લેન્ડ પ્રાઈસ ફિકસિંગ કમિટી જે કિંમત નક્કી કરે તે સોસાયટી દ્વારા ચૂકવવામા આવે તેમ ઠરાવ્યું હતું. જે મુજબ સ્નેહાંજલિ સોસાયટીને રુપિયા 79 કરોડ ભરવાના થતા હતા. ત્યાર બાદ આ બાબત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવી હતી. આ વિસ્તાર કોર્પોરેશન લિમિટમાં આવતા ઔડા દ્વારા કોર્પોરેશનને આ કેસનો નિકાલ કરવાનું કહેવામા આવ્યુ હતુ.
હાઈકોર્ટ દ્વારા 31 ડિસેમ્બર-2023 સુધીમા પ્લોટ ખાલી કરવા આદેશ
સ્નેહાંજલિ સોસાયટી દ્વારા નકકી કરવામા આવેલી રકમ કોર્પોરેશનમા જમા કરાવવામા ન આવતા કે પ્લોટ ખાલી નહીં કરાતા હાઇકોર્ટમાં કોર્પોરેશન તરફથી પિટિશન કરાઈ હતી. કોર્ટે કોમન કેવ જજમેન્ટ કરી 31 ડિસેમ્બર-2023 સુધીમા સ્નેહાંજલિ સોસાયટીને નાણાં જમા કરાવવા અથવા ખુલ્લા પ્લોટનો કબજો સોંપવા આદેશ કર્યો હતો. તેમ છતાં સ્નેહાંજલિ સોસાયટી દ્વારા આદેશનું પાલન નહીં કરી સુપ્રીમ કોર્ટમા પિટિશન દાખલ કરતા કોર્ટે રુપિયા 79 કરોડના બદલે પ્રવર્તમાન જંત્રી મુજબ રૂપિયા 41 કરોડ જમા કરાવવા અથવા ખુલ્લા પ્લોટનો કબજો કોર્પોરેશનને 30 સપ્ટેમ્બર-24 સુધીમા સોંપવા આદેશ કર્યો હતો.


