વડોદરા શહેરમાં ભાજપની જમ્બો કારોબારી બનશે : મહામંત્રી, ઉપપ્રમુખ અને મંત્રીની સંખ્યા વધારવા વિચારણા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara BJP : વડોદરા શહેર ભાજપની નવી કારોબારીની રચના કરવાની કામગીરી હાથ ધરાઇ છે ત્યારે વિવિધ હોદ્દા પર થતી નિમણૂકની સંખ્યા વધારવા સાથે અલગ અલગ મોરચામાં પણ વધુ સભ્યો સમાવીને આ વખતે જમ્બો સમિતિની રચના કરવાનું આયોજન વિચારણા હેઠળ છે. ખાસ કરીને ચૂંટણીનું વર્ષ હોવાથી કાર્યકરો નારાજ ન થાય અને મહત્તમ કાર્યકરોની ક્યાંક ને ક્યાંક નિમણૂક થાય તે અંગે પાર્ટીએ હાથ ધરેલી વિચારણા અંતર્ગત મહાકાય કમિટી બને તેવી શક્યતા જોવાઈ રહી છે.
વડોદરા શહેર ભાજપના પ્રમુખની નિમણૂક બાદ હવે મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી અને પોષાધ્યક્ષ (ખજાનચી)ની નિમણૂક માટે પક્ષે કવાયત હાથ ધરી છે. વિવિધ હોદ્દા પર નિમણૂક અંતર્ગત પ્રદેશના અગ્રણીઓ અત્રે આવીને ધારાસભ્યો તથા અન્યોને તેમની રજૂઆત સાંભળ્યા બાદ એ અંગેનો અહેવાલ પ્રદેશ સુધી રજૂ કરવાની કામગીરી કરાઈ હતી. આ વચ્ચે ભાજપમાં વધતા કાર્યકર્તાઓની સંખ્યાને ધ્યાનમાં લેતા હવે વિવિધ હોદ્દા પર નિમણૂકોની સંખ્યા વધારવામાં આવે તેવું તેવી ચર્ચા કાર્યકરોમાં સાંભળવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ, હાલ ત્રણ મહામંત્રી છે તેની જગ્યાએ પાંચ મહામંત્રીની નિમણૂક કરવાની વિચારણા છે. તેવી જ રીતે આઠ ઉપપ્રમુખ અને આઠ મંત્રીની જગ્યાએ 11 ઉપપ્રમુખ અને 11 મંત્રીની નિમણૂક થઈ શકે છે. વોર્ડ કારોબારીમાં બેથી ત્રણ સભ્યો લેવામાં આવતા હોવાથી તેઓની સંખ્યા 80થી 85ની આસપાસ રહેતી હોય છે તેની જગ્યાએ કારોબારીમાં ચારથી પાંચ સભ્યો લેવાની વિચારણા છે, જેથી કારોબારી સભ્યો પણ વધી શકે તેવું અનુમાન છે. આ ઉપરાંત વિવિધ મોરચા જેમકે યુવા મોરચો, એસ.સી. એસ.ટી. મોરચો, મહિલા મોરચો તમામ મોરચામાં કાર્યકરોની સંખ્યા વધારવાની શક્યતા જોવામાં આવી રહી છે. જેથી પક્ષના વધુને વધુ કાર્યકર્તાઓને ક્યાંક ને ક્યાંક યોગ્ય હોદ્દા મળી શકે. આવનાર સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીમાં કોઈ સભ્ય નારાજ થાય તે બાબત હાલ પક્ષને પોસાય તેમ નથી!









