Get The App

શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું, પેટાચૂંટણીમાં પરાજય બાદ મોટો નિર્ણય

Updated: Jun 23rd, 2025

GS TEAM

Google News
Google News
Shaktisinh Gohil


Shaktisinh Gohil Resigns as Gujarat Congress Chief : ગુજરાતમાં આજે વિધાનસભાની બે બેઠકો પર પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા છે. કોંગ્રેસને બેમાંથી એકેય બેઠક પર સફળતા ન મળતા શક્તિસિંહ ગોહિલે  ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ પક્ષ નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરે ત્યાં સુધી હાલ પૂરતી જવાબદારી દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને સોંપવામાં આવી છે. 

શક્તિસિંહે રાજીનામાં બાદ શું કહ્યું? 

શક્તિસિંહ ગોહિલે રાજીનામાં બાદ કહ્યું, છે કે 'હું કોંગ્રેસ પાર્ટીનો સિપાહી છું, આજે કડી અને વિસાવદરમાં અમને સફળતા નથી મળી. મને સતત મદદ કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, રાહુલ ગાંધી, વેણુગોપાલ અને મુકુલ વાસનીકનો આભાર વ્યક્ત કરું છું. રાજીવજી અને સોનિયાજીએ આપેલું માર્ગદર્શન મારા માટે સૌથી મોટા આશીર્વાદ છે. પેટાચૂંટણીમાં પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારી મેં ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. હું હંમેશા કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરતો રહીશ.' 

ચેન્જ ઇઝ ધ ઓન્લી પરમેન્ટ ફીનોમિના

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અંગ્રેજી કહેવત ટાંકતા કહ્યું હતું કે આ દુનિયામાં કશું કાયમી નથી માત્ર એક જ વસ્તુ કાયમી છે અને એ છે બદલાવ. તે ચાલ્યા કરે આ વાતને સમજીને મારી કોંગ્રેસ સમિતિના જે જિલ્લા પ્રમુખો બદલાયા છે એમને નમન કરીશ એમણે આ પ્રક્રિયાને સ્વિકારી. 

હારની જવાબદારી સ્વિકારી, શૈલેષ પરમારને સોંપી જવાબદારી

શક્તિસિંહ ગોહિલે હારનો સ્વિકાર કરતાં કહ્યું હતું કે 'કડી અને વિસાવદરની ચૂંટણીનું પરિણામ અમારા ખૂબ ખરાબ અને આઘાતજનક છે. આ ચૂંટણીઓ પહેલાં બંને જગ્યાએ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા 30 વર્ષથી સત્તા નથી, પણ જે મક્કમતાથી આ ચૂંટણીમાં લડ્યા છે તેમને નમન કરું છું. આ અમારી મૂડી છે અમારા નેતાઓ વેચાયા નથી દબાયા નથી, મક્કમતાથી લડ્યા છે. હાર અને જીત થાય પરંતુ  કોંગ્રેસ પક્ષમાં મોરલ રિસ્પોન્સબિલિટી નામની એક વસ્તુનું પાલન થયા કરે છે. કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ લડાઇ તેનો યશ કાર્યકર્તાઓને છે. પરિણામ નથી આવી શક્યું તેની જવાબદારી મેં સ્વિકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલાં જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે. પરિણામ નથી આવી શક્યું તેની જવાબદારીનો સ્વિકાર કરું છું. આજે જ અત્યારે જ પ્રદેશ પ્રમુખ તરીકેની આજે મારી છેલ્લી પત્રકાર પરિષદ છે.  અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર શૈલેષ પરમારને મારી જવાબદારીનો ભાર સોંપુ છું.'

ગુજરાતના કાર્યકર્તાઓને નવું બળ, નવું જોમ મળ્યું

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે 'જિલ્લા કક્ષાએ કાર્યકર્તાઓનો અવાજ શું છે તે સાંભળીને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નક્કી કરવા અને બીજા શું સુધારા કરવા તે માટે એક કમિટિ બની હતી. એઆઇસીસીની તે કમિટિએ રિપોર્ટ આપ્યો અને ખૂબ ગહન વિચારણા બાદ આવેલા રિપોર્ટ બાદ વર્કિંગ કમિટિએ મંજૂરી આપી. મેં ત્યારે જ વિનંતી કરી કે આપણે જે સર્જન સંગઠન અભિયાન શરૂ કરીએ છીએ તેની શરૂઆત ગુજરાતથી કરો તો સારું. હું આભાર માનીશ મહોડીમંડળનો કે એમણે ગુજરાતને પ્રોજેક્ટ તરીકે સ્વિકાર્યું. ખૂબ સિનિયર આગેવાનો પાંચ સાત દિવસ જિલ્લા કક્ષા પર ગયા અને રોકાઇને કાર્યકર્તાઓની વાતને અનુરૂપ જિલ્લા કોંગ્રેસના 40 પ્રમુખોની નિમણૂંક થઇ. આ નિમણૂંકથી ગુજરાતના કાર્યકર્તાઓને નવું બળ, નવું જોમ મળ્યું છે. ક્યારેક કોઇ લેવાતા નિર્ણયમાં પક્ષ કે પરિવારના જજમેન્ટની એરર પણ હોય પરંતુ કોંગ્રેસ પાર્ટીની સર્જન સંગઠન અભિયાનની ડ્યૂટીમાં એ વસ્તુ નક્કી કરી છે કે દર ત્રણ મહિને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની કાર્યવાહી અને તેનું નિરિક્ષણ પણ થાય અને કાર્યકરોને પણ સાંભળવામાં આવશે. તમારું હવે શું કહેવું છે. જરૂર પડે તો તેને રેક્ટિફાઇ કરવાની પણ તેમાં જોગવાઇ છે. ' 

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીના પરિણામ:

વિસાવદરમાં AAP ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ 17 હજાર 554 જ્યારે કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ 39 હજાર 452 મતોના માર્જિનથી પેટાચૂંટણી જીતી.

શક્તિસિંહે રાજીનામાં બાદ X પર પોસ્ટ કરી:


Tags :