કોંગ્રેસ જૂનાગઢમાં નવા નિમાયેલા પ્રમુખોનું શિબિર યોજશે, રાહુલ ગાંધી હાજરી આપે તેવી શક્યતા
Gujarat Congress : ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા તેના નવનિયુક્ત પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર જૂનાગઢની ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ચાલશે.
આજે સવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક સહિતના મહાનુભવો કેશોદ એરપોર્ટ પર આગમન કરશે. ત્યાર બાદ તેઓ જુનાગઢ પહોંચીને સાડા અગિયાર વાગ્યે મલ્લિકાર્જુન ખડગેના હસ્તે શિબિરનો પ્રારંભ કરાવશે.
આ શિબિરમાં જૂનાગઢના શહેર અને જિલ્લાના કોંગ્રેસ પ્રમુખોને તાલીમ આપવામાં આવશે. આ શિબિરનો મુખ્ય હેતુ આ નવા પ્રમુખોને પક્ષની નીતિઓ અને કાર્યપદ્ધતિ વિશે તાલીમ આપવાનો છે જેથી તેઓ આગામી ચૂંટણીઓ માટે તૈયાર થઈ શકે. આગામી દિવસોમાં રાહુલ ગાંધી પણ હાજરી આપે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, 26 જુલાઈના રોજ રાહુલ ગાંધીએ આણંદમાં યોજાયેલી શિબિરમાં ભાગ લીધો હતો. તે સમયે તેમણે 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાનો પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે ગુજરાતમાં પણ અયોધ્યાની જેમ ભાજપને હરાવીશું.