લાલપુરના ઝાખર ગામે ખાનગી કંપનીમાં રબારી અને દરબારના જૂથ વચ્ચે તકરાર : રબારી જૂથના ટેન્કર ચાલક-ક્લીનર પર દરબાર જૂથનો હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ઝાખર ગામની સિમ વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના એરિયામાં રબારી અને દરબારના જૂથ વચ્ચે તકરાર થઈ હતી, જેના મન દુઃખમાં દરબાર જૂથના ચાર સભ્યો દ્વારા રબારી ડ્રાઈવર ક્લીનર વગેરે પર હુમલો કરાયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ઝાખર ગામની સીમ વિસ્તારમાં આવેલી ન્યારા કંપનીમાં ગઈકાલે કામકાજ દરમિયાન દરબારના જૂથ અને રબારીના જૂથ વચ્ચે ઝઘડો થયો હતો, અને રબારીના જૂથ દ્વારા દરબારના જૂથ ઉપર હુમલો કરી દેવાયો હતો. જે વાતનું મનદુઃખ રાખીને અજીતસિંહ જાડેજા ના કહેવાથી દરબાર જૂથના કેટલાક સભ્ય દ્વારા ઝાખર ગામમાંથી પસાર થતા રબારી જૂથના ટ્રક-ટેન્કરને રોકીને તેઓ પર હુમલો કરવાનું નક્કી કર્યું હતું.
જે અનુસાર ગાગવા ધારની સીમ વિસ્તારમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ કરતા પરબતભાઈ રાજાભાઈ નાગેશ નામના 32 વર્ષના યુવાને પોતાની સાથેના અન્ય ટેન્કર ચાલક બાબુભાઈ મોરી તથા ક્લિનર હરવિભાઈ વાઘેલા ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે સરદારસિંહ જાડેજા, અજીતસિંહ જાડેજા અને તેના બે સાગરીતો સામે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઉપરોક્ત ચારેય આરોપીઓએ કંપનીની અંદર થયેલી માથાકૂટનો બદલો વાળવાના ભાગરૂપે ત્રણેય ઉપર વિના કારણે લોખંડના પાઇપ અને લાકડીના ધોકા વડે હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે. જે મામલે મેઘપર પોલીસ વધુ તપાસ ચલાવે છે.








