Get The App

કપડવંજમાં ત્રિપલ અકસ્માતમાં કન્ડક્ટર અને નિવૃત્ત ડ્રાઈવરના મોત

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
કપડવંજમાં ત્રિપલ અકસ્માતમાં કન્ડક્ટર અને નિવૃત્ત ડ્રાઈવરના મોત 1 - image


- દૂધાથલમાં એસટી બસ, ટ્રક અને ડમ્પર ટકરાયા

- નવ ઈજાગ્રસ્ત મુસાફરો સારવાર હેઠળ : બાયડથી આવતી બસ કપડવંજ તરફ ફરી ગઈ

કપડવંજ : કપડવંજમાં દૂધાથલ ગામ પાસે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બાયડથી મુસાફરોને ભરીને આવતી કપડવંજ એસટી ડેપોની બસ, ટ્રક અને ડમ્પર વચ્ચેના અકસ્માતમાં બસના કન્ડક્ટર અને એસટી નિગમના નિવૃત્ત ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. નવ ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માત બાદ ટ્રક અને ડમ્પરના ચાલકો ફરાર થઈ ગયા હતા.

કપડવંજ એસટી બસ ડેપોની કપડવંજ- બાયડ લોકલ બસ બાયડથી કપડવંજ તરફ મુસાફરોને લઈને આવી રહી હતી. એસટી બસ દૂધાથલ ગામના પાટિયા પાસે સવારે ૧૦.૩૫ કલાકે પહોંચી હતી. ત્યારે એસટી બસ અને બે ડમ્પર ધડાકાભેર ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્રિપલ અકસ્માત એટલો ભયાવહ હતો કે, કપડવંજ તરફ આવતી બસ બાયડ તરફની દીશા બાજુ ફરી ગઈ હતી. જ્યારે બંને ડમ્પરો ફંગોળાઈને રોડની સાઈડ પર ઉતરી ગયા હતા. અકસ્માતમાં ઘટના સ્થળે જ એસટી બસના કન્ડક્ટર સંજયસિંહ અર્જૂનસિંહ બિહોલા (ઉં.વ.૫૨) રહે. આંબલિયારા, તા. કપડવંજ અને એસટી બસમાં મુસાફરી કરી રહેલા બાયડ ડેપોના નિવૃત્ત ડ્રાઈવર અમરસિંહ કોદરસિંહ પરમાર (ઉં.વ.૭૦) રહે. સુણદા, તાબે નિરમાલીના મુવાડા, તા.કપડવંજવાળાના મોત નિપજ્યા હતા. જ્યારે એસટી બસના ડ્રાઈવર કે.એ. પરમારને બસમાંથી કટર દ્વારા પતરું કાપી બહાર કઢાયા હતા. ગંભીર ઈજાગ્રસ્ત ડ્રાઇવરને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા હતા. અકસ્માત સર્જાતા મુસાફરોની ચિચિયારીઓથી વાતાવરણ ગમગિન બની ગયું હતું. અકસ્માતમાં સ્થાનિકો મદદે આવતા ત્વરિત ૧૦૮ મારફતે ૯ જેટલા ઈજાગ્રસ્તોને કપડવંજ સીસી સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટ્રક અને ડમ્પર ચાલકો ફરાર થઈ ગયા હોવાની વિગતો બહાર આવી છે. 

ઘટનાની જાણ થતાં જ કપડવંજના એસડીએમ સહિત ડિવિઝન પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતદેહોનું સ્થળ પર પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 

અકસ્માતમાં નવ ઈજાગ્રસ્તોના નામ

(૧) રાહુલભાઈ વિક્રમભાઈ વણઝારા -ડેમાઈ (૨) ભાવેશભાઈ વિજયભાઈ ઝાલા -સુણદા (૩)  કાળાભાઈ એ પરમાર (૪) જશુભાઇ એન પંચાલ (૫) ફુલીબેન કીરીટભાઇ પરમાર નીરમાલીના મુવાડા,(૬) નીરૂબેન અરવિંદભાઈ પરમાર નીરમાલીના મુવાડા (૭)સોમીબેન ભરતભાઈ રાવળ(૮) કોકીલાબેન એ પરમાર(૯) વિજયભાઈ મનુભાઈને ઈજાઓ થઈ હતી.

3 કિલોમીટર સુધી ટ્રાફિકજામ સર્જાયો

અકસ્માતના પગલે અંદાજે ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેને કપડવંજ રૂરલ પોલીસે નિયંત્રણ કરવાની કાર્યવાહી હાથ ધર્યા બાદ પૂર્વવત્ કર્યો હતો. 


Tags :