આંકલાવ તાલુકા પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરનો આપઘાત
પાણી ભરવા ગયેલી મહિલાઓ અને ગ્રામજનોએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા
વડોદરા,સિંઘરોડ ચેક ડેમમાં ઝંપલાવીને આંકલાવ તાલુકા પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરે જીવન ટૂંકાવી દીધું હતું. જે અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજે આજે સવારે સિંઘરોટ ચેકડેમ મહીસાગર નદી સિંઘરોટ ચેક ડેમમાં પાણી ભરવા ગયેલી મહિલાઓએ એક વ્યક્તિને પાણીમાં ભૂસકો મારતા જોઇ બૂમાબૂમ કરતા અન્ય ગ્રામજનો દોડી આવ્યા હતા. તેઓએ પાણીમાં કૂદનાર વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ સ્ટેશનના હે.કો. વિજયસિંહે ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી. ચેક ડેમ નજીકથી મૃતકનું મોપેડ અને મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જેના આધારે મૃતકનું નામ સંજયસિંહ વિનોદસિંહ ઝાલા, ઉં.વ.૪૫ (રહે.શેરડી ગામ, તા.આંકલાવ, જિ.આણંદ) હોવાનું જાણવા મળ્યું હતું. સંજયસિંહ આંકલાવ તાલુકા પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કરાર આધારિત નોકરી કરતા હતા. તેમના લગ્ન થઇ ગયા છે અને ત્રણ સંતાન છે. બનાવ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. આપઘાતનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. પરંતુ, આર્થિક ભીંસ હોવાની શક્યતા સેવાઇ રહી છે.