સુરતના પુસ્તક મેળામાં મુલાકાતીઓને બાઈબલના વિના મુલ્યે આપી ધર્મનો પ્રચારની ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Book Fair : સુરત પાલિકાએ પાંચ વર્ષના લાંબા ગાળા બાદ પુસ્તક મેળાનું આયોજન કર્યું છે પરંતુ શરૂઆતથી વિવાદી બનેલા પુસ્તક મેળામાં આજે વધુ વિવાદ સામે આવ્યા છે. પાલિકાના આ પુસ્તક મેળામાં કેટલાક સ્ટોલ ધારકોએ સાહિત્ય પીરસવાના બદલે બાઈબલનું વિનામુલ્યે વિતરણ કરી ધર્માંતરણ માટે આડકતરો પ્રયાસ કરતા હોવાની ફરિયાદ બહાર આવી હતી. પાલિકા તંત્રએ સ્ટોલ ધારકને આવી પ્રવૃત્તિ ન કરવા તાકીદ કરતા બમણા વેગથી પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ આવ્યા બાદ પાલિકાએ સ્ટોલ બંધ કરાવવા માટે કવાયત શરૂ કરી છે.
સુરત પાલિકાના પુસ્તક મેળામાં સાહિત્યના પુસ્તકો સાથે કેટલાક ધર્મ કે સંપ્રદાયના પુસ્તકો માટેના સ્ટોલ હોય છે. લોકોને સાહિત્ય સાથે ધર્મનું પણ જ્ઞાન મળી રહે છે જોકે, તેના કેટલાક લોકો ગેરલાભ ઉઠાવી વિવાદ કરતા હોવાનું બહાર આવ્યું છે. પાલિકાના પુસ્તક મેળામાં એક સ્ટોલ ધારક દ્વારા બાઈબલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવતું હતું. તેના માટે એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે જે મુલાકાતીઓને ન જોઈતું હોય તો તેમને પણ ઉભા રાખી ઈચ્છા ન હોવા છતાં બાઇબલ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવું કરીને આ સ્ટોલ ધારકો આડકતરી રીતે ધર્માંતરણને પ્રોત્સાહન આપી રહ્યાં છે.
પાલિકાને ગઈકાલે આ ફરિયાદ મળી હતી અને પાલિકાએ આ સ્ટોલ ધારકને આવા પ્રકારની પ્રવૃત્તિ ન કરવા માટે સૂચના આપી હતી. જોકે, સ્ટોલ ધારકે પાલિકાની આ સુચનાને અવગણીને આ પ્રવૃત્તિ ચાલુ રાખતા કેટલાક મુલાકાતીઓ અને અન્ય સ્ટોલ ધારકોએ ગંભીર આક્ષેપ કર્યા હતા જેના કારણે તંત્ર ચોંકી ગયું હતું. પાલિકાએ સ્થળ તપાસ કરતા સૂચનાનું પાલન ન થતું હોવાની ફરિયાદ સાચી સાબિત થઈ હતી. જેના કારણે પાલિકાએ આ વિવાદી સ્ટોલ બંધ કરવા કવાયત હાથ ધરી છે. ભૂતકાળમાં પણ આ પ્રકારે પાલિકાના પુસ્તક મેળાનો ઉપયોગ ધર્મના પ્રચાર માટે કરવામાં આવ્યો હતો ત્યારે પણ ફરિયાદ થઈ હતી. તેથી હવે પછી આયોજન થાય ત્યારે આવા સ્ટોલ ધારકોને સ્ટોલ નહી ફાળવવા માટે માંગણી થઈ રહી છે.
ગરમીમાં યોજાયેલા પુસ્તક મેળામાં પાણીની મોકાણ
સુરત પાલિકાનો પુસ્તક મેળો વિવાદનું કેન્દ્ર બની ગયો છે. પુસ્તક મેળામાં બાઈબલના વિતરણ મુદ્દે વિવાદ ઉભો થયો તેની સાથે ગરમીમાં યોજાયેલા પુસ્તક મેળામાં પાણીની મોકાણ પણ બહાર આવી હતી અને મુલાકાતીઓનો આક્રોશ સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો. સામાન્ય રીતે પુસ્તક મેળો શિયાળામાં યોજાઈ છે પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીથી શરુ થયેલી ગરમીમાં પુસ્તક મેળાનું આયોજન થયું છે. જેના કારણે મુલાકાતીઓને પાણીની જરૂરિયાત ઉભી થઈ છે.
પાલિકાએ પાણીની સુવિધા ઉભી કરી છે પરંતુ તે પુરતી ન હોવાથી મુલાકાતીઓ પાણી માટે વલખા મારતા હોવાનું બહાર આવ્યું છે. એક તરફ પાણીની બોટલો વેચવા પર પ્રતિબંધ અને બીજી તરફ મફત પાણીની યોગ્ય વ્યવસ્થાના અભાવે લોકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી હતી. આવા પ્રકારની વાત સાથેનો એક મુલાકાત નો વિડીયો વાયરલ થતા તંત્ર જાગ્યું હતું અને પાણીની વ્યવસ્થા કરી હતી.








