ચોમાસા પહેલા સુરત પાલિકાના રાંદેર ઝોનમાં ડ્રેનેજના કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારી હોવાની ફરિયાદ
Surat Corporation : સુરતમાં ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ રાંદેર ઝોનમાં ડ્રેનેજના કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી સાથે મેટ્રો દ્વારા વારંવાર પાણીની લાઈન તૂટી હોવાથી સ્થિતિ ચિંતાજનક બની રહી છે. ચોમાસા પહેલા પાલિકાના રાંદેર ઝોનમાં ડ્રેનેજના કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારી હોવાની ફરિયાદ સાથે ચોમાસા દરમિયાન અનેક મુશ્કેલીઓ ઉભી થશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલ ગામ જલારામ મંદિર નજીક ડ્રેનેજ લાઈનની કામગીરી હાલ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરે પાણીની લાઈન તોડી નાંખી છે અને તે રીપેર કર્યા વિના જ મેટલ ગ્રાઉન્ટીંગ કરી દેવાયું છે અને રસ્તો પણ બનાવી દેવામાં આવ્યો છે. આ રસ્તો બનાવી દીધો છે પરંતુ નીચે પાણીની લાઈન તુટેલી છે તેથી ફરીથી પાણીની લાઈન રિપેર કરવા રસ્તો ખોદવો પડશે અને પ્રજાના પૈસાનો વ્યય થઈ રહ્યો હોવાની ફરિયાદ પુર્વ કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાથે સમસ્યાનું તાકીદે નિકાલ કરીને બે જવાબદારી ભર્યું કામ કરનાર સામે પગલાં ભરવાની પણ માંગણી કરવામાં આવી છે.
આ ઉપરાંત રાંદેર ઝોન વિસ્તારમાં મેટ્રોની કામગીરી મેટ્રોના કારણે વારંવાર પાણીની લાઈન તુટી રહી છે અને તેના કારણે લોકોની હેરાનગતિ થાય છે તેથી આ સમસ્યાનો હલ કરવા માટે પણ માંગણી કરવામા આવી છે.