ધ્રાંગધ્રાના વ્યક્તિને ગંભીર ગુનામાં ફસાવાની ધમકી આપનાર સામે ફરિયાદ
બાકીના 1.5 લાખ વસુલવા ફરિયાદીના બદનક્ષી ભર્યા મેસેજ વાઇરલ કર્યા
પત્રકાર રાકેશ પ્રજાપતિએ અગાઉ મારામારીના ગુનામાં ૩૦૭ની કલમ ઉમેરવા વ્યક્તિ પાસેથી ૩.૫ લાખ પડાવ્યા હતા
સુરેન્દ્રનગર - ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતા એક શખ્સ પાસેથી ફરિયાદમાં કલમનો ઉમેરો કરવાની લાલચ આપી રોકડ રકમ પડાવી લેવાની અને બાકીની રકમ નહીં આપે તો અન્ય ગુનાઓમાં ફીટ કરાવી દેવાની ધમકી આપ્યાની ભોગ બનનાર શખ્સે સુરેન્દ્રનગરના એક યુવક સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ધ્રાંગધ્રા શહેરના સોની તલાવડી માલવણના ઉતારા પાસે રહેતા ફરિયાદી શાહરૃખભાઈ હુશેનભાઈ મોવરના સબંધીને વર્ષ ૨૦૨૨માં અન્ય ત્રણ શખ્સ સાથે કલ્પના હોટલ પર મારામારી થઈ હતી જેમાં શાહરૃખભાઈના સબંધી મુરાદભાઈ મુલ્લાને ઈજાઓ પહોંચી હતી. જે મામલે શાહરૃખભાઈએ મારામારી કરનાર ત્રણ શખ્સ વિરૃધ્ધ ધ્રાંગધ્રા તાલુકાના પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.
ફરિયાદમાં ૩૦૭ની કલમનો ઉમેરો કરવા માટે સુરેન્દ્રનગર ખાતે રહેતા મુરાદભાઈના મિત્ર રાકેશ વિરજીભાઈ પ્રજાપતિએ રૃા.૫ લાખની માંગ કરી હતી અને તે પેટેના રૃા.૩.૫ લાખ ફરિયાદી અને તેમના મિત્ર મુરાદભાઈ પાસેથી રોકડા લઈ લીધા હતા અને બાકીની રકમ કલમનો ઉમેરો થઈ ગયા બાદ આપવાનું નક્કી કર્યું હતું.
આથી રાકેશે પોતે પત્રકાર હોવાની ધમકી આપી અને ધાક જમાવી તત્કાલીન તાલુકા પીઆઈ સહિતના અધિકારીઓ પર ૩૦૭ની કલમનો ઉમેરો કરવા દબાણ કર્યું હતું. પરંતુ મારામારીનો બનાવ હોવાથી કલમનો ઉમેરો ન કરતા રાકેશ પ્રજાપતિ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ તેમજ ધ્રાંગધ્રા ડીવાયએસપી વિરૃધ્ધ પોતાના છાપામાં તેમજ સોશિયલ મીડિયામાં પોલીસની છબીને નુકસાન પહોંચાડે તેવું લખાણ કરી ફરિયાદી પાસે અવાર-નવાર બાકીની રકમની કડક ઉધરાણી કરતો હતો. એટલું જ નહીં ફરિયાદી (શાહરૃખભાઈ) પોતે દારૃનો વેપાર કરતા હોવાના આક્ષેપ સાથે બદનામ કરવા માટે છાપામાં તેમજ સોશિલ મીડિયામાં મેસેજ વાઇરલ કર્યા હતા પરંતુ તેમ છતાંય ફરિયાદીએ બાકીની રકમ નહીં ચુકવતા ખોટા વીડિયો બનાવી તેને વાયરલ કરી ૩૦૭ જેવી ભારે કલમોના ગુનામાં ફીટ કરી દેવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ફરિયાદી શાહરૃખભાઈએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.