- બામણવા ગામના પીએચસી સેન્ટરમાં
- 5 આશાવર્કરને બેઠકના બહાને બોલાવીને ધર્માતરણ કરવા દબાણ કરાતું હોવાને પગલે કાર્યવાહી
આણંદ : ખંભાતના બામણવા ગામના પીએચસી સેન્ટરમાં ફરજ બજાવતી હેડ નર્સ પાંચથી વધુ આશાવર્કર બહેનોને ધર્માતરણ કરવા દબાણ કર્યું હોવાના મામલામાં આખરે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે હેડ નર્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
ખંભાતના બામણવા પીએચસી સેન્ટરમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવતા નમ્રતાબેન મેકવાન દ્વારા પી એચ સીના સપનાબેન સોલંકી સહિતના પાંચ આશાવર્કરોને મિટિંગના બહાને બોલાવી ખ્રિસ્તી ધર્મની વાતો કરી ધર્માતરણ કરવા દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તેઓની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી હતી. અને આશાવર્કર બહેનોની ફરિયાદના આધારે તેમની સામે તપાસ પણ શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
આ સમગ્ર મામલો ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે પહોંચ્યો હતો અને આજે સમી સાંજના સુમારે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં નમ્રતાબેન મેકવાન વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું ખંભાત ગ્રામ્ય પોલીસ મથકના પીઆઇએ જણાવ્યું હતું.


