જામનગરના શખ્સ દ્વારા પોરબંદરની મહિલા સાથે રૂપિયા 2 લાખ 5 હજારની છેતરપિંડીની ફરિયાદ
Jamnagar Fraud Case : જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા એક શખ્સ દ્વારા પોરબંદરની મહિલાને રૂનું મશીન અપાવી દેવાના બહાને પોતાના મકાનના ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કરી બેન્કમાંથી રૂપિયા 2 લાખ 5 હજારની લોન મેળવી લઇ પૈસા અને રૂ નું મશીન મહિલાને નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતી હીનાબેન વિમલભાઈ ઊંજીયા નામની 35 વર્ષની પરિણીતાએ પોતાની સાથે રૂપિયા બે લાખ પાંચ હજારની છેતરપિંડી કરવા અંગે જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા ઘનશ્યામભાઈ મોહનભાઈ ખોખાણી નામના પટેલ શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મહિલાને રૂનું મશીન અપાવી દેવાના બહાને આરોપી ઘનશ્યામભાઈએ વિશ્વાસમાં લીધા હતા, અને પોતાનું મકાન ભાડે આપેલું છે, તેવા ભાડા કરાર કરીએ સ્થળે શિવ એન્ટરપ્રાઇઝ નામની હીનાબેનના નામની પેઢી તૈયાર કરી લીધી હતી, અને તેના ડોક્યુમેન્ટના આધારે જામનગરની એસ.બી.આઈ. માંથી રૂપિયા બે લાખ પાંચ હજારની લોન મેળવી લીધી હતી.
જે લોનના નાણા પોતે વાપરી નાખ્યા હતા, અને રૂ નું મશીન પણ અપાવ્યું ન હોવાથી આખરે આ મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.