સુરેન્દ્રનગરમાં રોડ પર ચક્કાજામ કરનાર 13 વ્યક્તિ સામે ફરિયાદ
વર્ષો જુના પડતર પ્રશ્નો મામલે
પોલીસે જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી ઃ લોકોનો અવાજ દબાવવાનો રહિશોનો આક્ષેપ
સુરેન્દ્રનગર - વઢવાણ-મુળચંદ રોડ પર કેસરીયાબાલમ પાછળના વિસ્તારમાં રહેતી મહિલાઓ અને સ્થાનીક રહિશોએ સોમવારે સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર પ્રાથમિક સુવિધાઓ મુદ્દે રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો જે મામલે બી-ડિવીઝન પોલીસે જાગૃત નાગરિક સહિત ચક્કાજામ કરનાર મહિલાઓ અને પુરૃષો સામે જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
વઢવાણ મુળચંદ રોડ પર કેસરીયાબાલમ વિસ્તારમાં રહેતી અંદાજે ૧૦થી ૧૨ મહિલાઓ તેમજ ૦૨થી ૦૩ અજાણ્યા પુરૃષોએ જાગૃત નાગરિક કમલેશ કોટેચાની આગેવાનીમાં પ્રાથમિક સુવિધાઓ સહિત સ્થાનીક વિસ્તારની સમસ્યાઓ અંગે સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો. જેની જાણ થતાં બી-ડિવીઝન પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને ચક્કાજામ મામલે તેમજ રસ્તો બંધ કરી ૫ થી વધુ માણસો ભેગા કરવા બદલ મંજુરી લીધી છે કે કેમ ? તે બાબતે પુછપરછ કરતા કોઈપણ જાતની મંજુરી કે હુકમ નહિં હોવાનું જણાવ્યું હતું આથી ફરજ પરના પોલીસ સ્ટાફ દ્વારા મહિલાઓને રસ્તા પરથી હટી જઈ રોડ ખુલ્લો કરવા બાબતે જણાવ્યું હોવા છતાં કમલેશ કોટેચાની આગેવાનીમાં મહિલાઓ તથા પુરૃષો દ્વારા રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો નહોતો અને મનપા કમિશનર આવશે તો જ રસ્તો ખોલવામાં આવશે તેવી રજુઆત કરી હતી જે મામલે સભા સરઘસ બંધીના જાહેરનામાનું ઉલંધ્ધન થતું જણાઈ આવતા બી-ડિવીઝન પોલીસે જાહેરનામાના ઉલંધ્ધન બદલ કમલેશ કોટેચા સહિત ૧૦ મહિલાઓ અને ૦૨ પુરૃષો સામે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે દ્વારા રહિશોને ડરાવવા ખોટો કેસ કર્યો હોવાનો આક્ષેપ
આ મામલે ફરિયાદનો ભોગ બનનાર જાગૃત નાગરિક કમલેશ કોટેચાના જણાવ્યા મુજબ મનપા તંત્રને અનેક વખત પ્રાથમિક સુવિધાઓ અંગે રજુઆતો કરવા છતાં ઉકેલ ન આવતા સ્થાનિક મહિલાઓ અને રહિશોએ ચક્કાજામ કર્યો હતો પરતું પોલીસ દ્વારા ખોટો કેસ કરી લોકોને ડરાવવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. આ પ્રકારના કેસથી પોતે અને તેમની ટીમ ડરશે નહિં તેમજ આવનાર દિવસોમાં પણ લોકોની પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર સામે મક્કમતાથી લડત આપશે તેમ જણાવ્યું હતું.