'કોમનવેલ્થ-2030' માટે અમદાવાદની યજમાનીનો માર્ગ હવે વધુ મોકળો, કેબિનેટની મંજૂરી
AI Images |
Commonwealth Games 2030: કોમનવેલ્થ ગેમ્સ-2023 માટે બિડ રજૂ કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયને આ મામલે મંજૂરી આપી હતી. આ ઉપરાંત યજમાન સહયોગ કરાર પર હસ્તાક્ષર કરવાની સાથે સાથે જો બિડ સ્વીકારાય તો ગુજરાત સરકારને જરૂરી નાણાંકીય સહાય કરવા માટે પણ મંજૂરી આપી હતી. ટૂંકમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદ શહેર યજમાન પદ મળી શકે છે તેનુ કારણ એ છેકે, અહીં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રકચર, અત્યાધુનિક સ્ટેડિયમ સહિતની સુવિધા ઉપલબ્ધ છે.
બીડ સ્વીકારાય તો ગુજરાત સરકાર માટે નાણાંકીય સહાય કરવા પણ કેન્દ્રની મંજૂરી
કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે કેન્દ્રીય કેબિનેટે બિડિંગ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. અગાઉ 14મી ઓગસ્ટના રોજ, ભારતીય ઓલિમ્પિક એસોસિયેશને મંજૂરી આપી હતી. હવે ભારતે 31મી ઓગસ્ટ સુધીમાં અંતિમ બિડિંગ પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે. નવેમ્બરના અંતમાં નક્કી કરવામાં આવશે કે યજમાની મળશે કે નહીં. કેટલાંક દેશની બાદબાકી થતાં ભારતને કોમનવેલ્થ ગેમ્સનું યજમાની મળવાની શક્યતા વધી ગઈ છે. ગયા મહિને કોમનવેલ્થ સ્પોર્ટ ડિરેક્ટર ડેરેન હોલના નેતૃત્વમાં એક ટીમે અમદાવાદમાં સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે ગુજરાત સરકારના અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી.
આ પણ વાંચો: ઇડરના ભાજપ ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલી વધી, મામલતદારની હાજર થવા નોટિસ
કોમનવેલ્થ ગેમ્સને લઈને અમદાવાદ શહેર પહેલી પસંદ બન્યુ છે. કારણ કે, તાલીમ સુવિધાઓ અને ઉત્સાહી રમતગમત સંસ્કૃતિ પ્રદાન કરે છે. વિશ્વનું રમતગમત માટે આદર્શ યજમાન શહેર છે. વિશ્વ કક્ષાના સ્ટેડિયમ, અત્યાધુનિક સૌથી મોટું સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, 2023 ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલનું સફળતાપૂર્વક આયોજન કરીને તેની ક્ષમતા દર્શાવી ચૂક્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોમનવેલ્થ ગેમ્સમાં 72 દેશોના ખેલાડીઓ ભાગ લેશે. કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન રમતવીરો, કોચ, ટેકનિકલ અધિકારીઓ, પ્રવાસીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ભારતની મુલાકાતે લેશે જેથી સ્થાનિક વ્યવસાયોને ફાયદો થશે અને આવક થશે. રમતગમત ઉપરાંત, ભારતમાં પ્રવાસનને વેગ મળશે. રોજગારીનું સર્જન થશે. આ ઉપરાંત રમતગમત વિજ્ઞાન, ઈવેન્ટ ઓપરેશન્સ અને મેનેજમેન્ટ, લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ કોઓર્ડિનેટર, બ્રોડકાસ્ટ અને મીડિયા, IT અને કોમ્યુનિકેશન, જનસંપર્ક અને કોમ્યુનિકેશન અને અન્ય ક્ષેત્રોમાં પણ મોટીસંખ્યામાં વ્યાવસાયિકોને તકો મળશે. યુવા ખેલાડીઓને કારકિદીના વિકલ્પ તરીકે પ્રેરણા મળશે.