જામનગર પાલિકાના કમિશનર દ્વારા આજે બચુનગર વિસ્તારમાં દબાણવાળી જગ્યાનું જાત નિરીક્ષણ કરી ડિમોલેશનનો તખ્તો તૈયાર કર્યો
Jamnagar Demolition : જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નાગમતી નદીને મૂળ સ્વરૂપમાં લાવવાના ભાગરૂપે અને રીવરફ્રન્ટ પ્રોજેક્ટને અનુલક્ષીને નદીના પટના 300 થી વધુ દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, અને બચુનગર વિસ્તારના સંખ્યાબંધ મકાન માલિકો તથા ધંધાના સ્થળ કે જે જગ્યા ખુલ્લી કરાવવાની છે, તે તમામ સ્થળે અંતિમ નોટિસ પાઠવી દેવાઈ છે.
દરમિયાન આજે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદી ઉપરાંત કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા અને એસ્ટેટ શાખાની ટીમ તેમજ સોલિડ વેસ્ટ શાખાની ટીમ વગેરે દ્વારા સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને રંગમતી નાગમતી નદીના દબાણવાળા વિસ્તારને વહેલી તકે ખુલ્લો કરી દેવા માટેની તાકીદ કરી હતી.
બચુનગર વિસ્તારના રહેવાસીઓને ઉપરોક્ત દબાણ વાળી જગ્યા તાત્કાલિક અસરથી ખાલી કરી દેવા માટેની અંતિમ નોટિસ પાઠવી દેવાઈ હતી, અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા પણ સમય માંગવામાં આવ્યો હતો. જે તમામ પ્રકારની મુદત પૂરી થઈ ગઈ હોવાથી હવે આવતીકાલથી મેગા ડિમોલેશનની તૈયારીઓ ચાલી રહી છે, અને તે માટેનો મહાનગરપાલિકાના વર્તુળમાં તખ્તો ગોઠવાઈ ગયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જેના માટેનો ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ રહ્યો છે. ચોમાસાની સિઝન શરૂ થઈ જાય તે પહેલાં ઉપરોક્ત તમામ દબાણો દૂર કરી લેવા માટે મહાનગરપાલિકાની ટિમ સક્રિય બની છે.