કોમર્સ ફેકલ્ટીમાં એફવાયની 450 બેઠકો વધારવાનો નિર્ણય
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે ધસારાની વચ્ચે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે બેઠકો વધારવાની માગણી જોર પકડી રહી હતી અને તેના પગલે યુનિવર્સિટી સત્તાધીશોએ એફવાયબીકોમમાં ૪૫૦ જેટલી બેઠકો વધારવાનો નિર્ણય લીધો છે.
કોમર્સ ફેકલ્ટીએ અગાઉ ૬૪૩૧ બેઠકો પર પ્રવેશ આપવાનું નક્કી કર્યું હતું.જોકે આજે મધરાતે પૂરા થનારા ત્રીજા રાઉન્ડના અંતે આ તમામ બેઠકો ભરાઈ જાય તેવી શક્યતા છે.કોમર્સ ફેકલ્ટીમાં ૬૪૦૦ જેટલી બેઠકો પર એફવાયમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.પ્રવેશના ત્રીજા રાઉન્ડમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ૫૪ ટકાએ પ્રવેશ અટકયો છે.
યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો.જે કે પંડયાની હાજરીમાં વિદ્યાર્થી સંગઠનોની એક બેઠક આજે બોલાવવામાં આવી હતી અને તેમાં પ્રવેશ મુદ્દે ચર્ચા થઈ હતી.એ પછી કોમર્સના ડીન પ્રો.પંડયાએ કહ્યું હતું કે, એફવાયમાં ૪૫૦ બેઠકો વધારવાનું નક્કી કરાયું છે.જેના પર ચોથા રાઉન્ડમાં પ્રવેશ અપાશે.હાલના તબક્કે આ વધારાની બેઠકો પૈકી ૮૫ ટકા સ્થાનિક વિદ્યાર્થીઓ માટે રહેશે.બેઠકો વધારવાથી ૫૦ ટકા સુધીના માર્કસ મેળવનાર સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકશે તેવું અત્યારે લાગે છે.
તેમણે કહ્યું હતું કે, ચોથા રાઉન્ડની પ્રવેશ યાદી આવતીકાલે જાહેર કરવામાં આવશે અને એ પછી ચિત્ર સ્પષ્ટ થશે.
હેડ ઓફિસ ખાતે પ્રવેશના મુદ્દે ઘર્ષણ પોલીસ બોલાવવી પડી, ઝપાઝપી
આજે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એફવાયબીકોમની બેઠકો વધારવાના મુદ્દે ઘર્ષણ થયું હતું અને તેના પગલે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.
જેના પગલે એનએસયુઆઈ દ્વારા વાલીઓને સાથે રાખીને હેડ ઓફિસ ખાતે બેઠકો વધારવા માટે દેખાવો કરવામાં આવ્યા હતા.એનએસયુઆઈના કાર્યકરોએ ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર સમક્ષ રજૂઆત કરી હતી.આ તબક્કે ઘર્ષણ થતા પોલીસ દોડી આવી હતી.પોલીસ અને સિક્યુરિટી સાથે કાર્યકરોની ઝપાઝપી પણ થઈ હતી. એનએસયુઆઈના કેટલાક કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.જેમને પાછળથી છોડી મૂકવામાં આવ્યા હતા.