Get The App

પાણીજન્ય રોગચાળાને નાથવા અમદાવાદમાંથી વધુ ૨૭ પાણીપુરીના પાણી, રગડાના સેમ્પલ લેવાયા

શહેરના તમામ સાત ઝોનમાં પાણીપુરીના ખુમચા,લારીવાળા સામે સઘન કાર્યવાહી કરાશે

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
પાણીજન્ય રોગચાળાને નાથવા  અમદાવાદમાંથી વધુ ૨૭ પાણીપુરીના પાણી, રગડાના સેમ્પલ લેવાયા 1 - image

       

 અમદાવાદ,મંગળવાર,20 જાન્યુ,2026

અમદાવાદમાં સતત વધી રહેલા પાણીજન્ય રોગના કેસને નાથવા અલગ અલગ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ઝૂંબેશ ચલાવાઈ રહી છે.મંગળવારે શહેરના હાઈરીસ્ક એવા ૨૬ સ્પોટમાંથી પાણીપુરીના પાણી અને રગડાના ૨૭ સેમ્પલ લેવાયા હતા. તમામ સાત ઝોનમાં આગામી સમયમા પણ પાણીપુરીના ખુમચા અને લારીઓવાળાઓની સઘન તપાસ કરવામા આવશે.૨૮૦ સેમ્પલમાંથી નોન પરમીટેડ ફુડ કલર મળતા આ નિર્ણય કરાયો હોવાનુ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળે છે.

શહેરના સૈજપુર ટાવર ઉપરાંત હીરાવાડી તેમજ કૃષ્ણનગર ચાર રસ્તા ,રામેશ્વર ચાર રસ્તા, ભાર્ગવ રોડની સાથે બાપાસીતારામ ચોક સહિતના વિસ્તારોમાં હેલ્થ વિભાગની  અલગ અલગ ટીમ દ્વારા પાણીપુરીના ખુમચાઓ ઉપર વેચાતી પાણીપુરીના પાણી અને રગડાના સેમ્પલ લીધા હતા. ઉપરાંત સ્થળ ઉપરથી સડેલા બટાકા,ચણાં ઉપરાંત તેનો માવો મળી આવ્યો હતો. કોર્પોરેશને કરાવેલ તપાસમાં પાણીપુરીના રગડામા નોન પરમીટેડ ફુડ કલર મળી આવતા સમગ્ર શહેરના ૪૮ વોર્ડમાં પાણીપુરી વેચનારાઓ સામે તપાસ કરવામા આવી હતી. હવે પછી જે તે ઝોન લેવલે ડેપ્યુટી હેલ્થ ઓફિસરને પાણીપુરીના ખુમચા અને લારીઓની તપાસ કરવાની જવાબદારી સોંપવામા આવી છે.નોંધનીય છે કે,કોર્પોરેશનની અલગ અલગ ટીમોએ ૧૧૨૧ જેટલા પાણીપુરીના પાણીના સેમ્પલ લીધા હતા.