- યાત્રાધામની કલેક્ટરની આકસ્મિક મુલાકાત
- ગોમતીઘાટ પર તાત્કાલિક ગંદકી, દબાણો દૂર કરવા અને પાર્કિગની સુવિધા કરવા માટે આદેશ કરાયો
નડિયાદ, ડાકોર : યાત્રાધામ ડાકોરની આજે કલેકટરે ઓચિંતી મુલાકાત લઈ સ્વચ્છતાના અભાવે નગરપાલિકાના ચીફ ઓફિસરની આકરી ઝાટકણી કાઢી હતી અને ગોમતી ઘાટ પરથી તાત્કાલિક દબાણો દૂર કરી શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ સુનિશ્ચિત કરવા આદેશ કર્યો છે.
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર ખાતે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કલેકટરે ડાકોર શહેરમાં આવેલા વિવિધ સ્થળો તેમજ સરકારી પાકગ અને પવિત્ર ગોમતી ઘાટ પર નિરીક્ષણ હાથ ધર્યું હતું. નિરીક્ષણ દરમિયાન ઠેર-ઠેર ગંદકી અને સફાઈનો અભાવ જોવા મળતા કલેકટરે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને હાજર ચીફ ઓફિસરનો ઉધડો લીધો હતો. યાત્રાધામની ગરિમા જળવાય તે રીતે સફાઈ વ્યવસ્થા જાળવવા માટે તંત્રને તાકીદ કરવામાં આવી હતી. કલેકટર દ્વારા ગોમતી ઘાટ પર કરવામાં આવેલા દબાણો અંગે પણ ગંભીર નોંધ લેવામાં આવી હતી. તેમણે આ તમામ દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવા માટે ચીફ ઓફિસરને સૂચના આપી હતી.
આ ઉપરાંત ગોમતી ઘાટના પાણી અને આસપાસના વિસ્તારને હંમેશા સ્વચ્છ રાખવા માટે પણ કડક શબ્દોમાં કહી દેવામાં આવ્યું છે. ડાકોરમાં દર્શનાર્થે આવતા હજારો ભક્તોને પાકગથી લઈને પ્રાથમિક સુવિધાઓ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે જોવાની જવાબદારી ચીફ ઓફિસરની રહેશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા યાત્રાધામના વિકાસ અને સ્વચ્છતા મુદ્દે આ પ્રકારની કડક કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે તેવી બાહેંધરી આપી છે.


