હવે બનાસકાંઠાના પાણિયારી ધોધની મજા નહીં માણી શકાય! તંત્રએ મૂક્યો પ્રતિબંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Banaskantha Paniyari Waterfall: ચોમાસાની શરૂઆતથી જ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. પરંતુ, છેલ્લાં ઘણાં દિવસથી ઉત્તર ગુજરાતમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. અતિભારે વરસાદના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી. આ સિવાય લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. જોકે, આ વરસાદના કારણે બનાસકાંઠાના પાણિયારી ધોધ જીવંત બન્યો હતો. લોકો બનાસકાંઠાના આ સુંદર ધોધનો આનંદ માણી રહ્યા હતા, પરંતુ હવેથી લોકો અહીં ન્હાવા માટે નહીં જઈ શકે.
પાણિયારી ધોધ પર પ્રતિબંધ
જણાવી દઈએ કે, પાણિયારી ધોધ જોખમી બનતા મામલતદાર દ્વારા તેની મુલાકાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોઈપણ મોટી દુર્ઘટનાને ટાળવા માટે આવનારા 5 મહિના સુધી પાણિયારી ધોધને ભયજનક જણાવી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશનું ઉલ્લંઘન ન થાય તે માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ધોધ પાસે પૂરતો પોલીસ બંદોબસ્ત મૂકવામાાં આવ્યો છે. જેના કારણે સામાન્ય લોકો ધોધમાં ન્હાવા માટે ન જાય.

કેમ લેવાયો નિર્ણય?
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં એક બાળકનું પાણિયારી ધોધમાં ન્હાતી સમયે ડૂબવાની ઘટના બની હતી. આ બાળકને તરતા ન આવડતું હોવાથી તે ડૂબવા લાગ્યો હતો અને ત્યારબાદ તેને ટ્રેક્ટરમાં સુવડાવીને મુમનવાસ ગામે એમ્બ્યુલન્સમાં પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. થોડા સમય બાદ સ્થિતિમાં સુધારો ન થતા તેને પ્રાઇવેટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ, ત્યાં તેની સારવાર થઈ રહી છે.
આ પણ વાંચોઃ એક મહિનાનો વરસાદ હવે એક જ દિવસમાં વરસી જાય છે! ક્લાઈમેટ ચેન્જની 'ગંભીર' ઈફેક્ટ
કલેક્ટરનો હુકમ
કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને આ વિશે હુકમ કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલા મુકતેશ્વર ડેમ અને પાણિયારી ધોધ ખાતે કોઈપણ વ્યકિત/પ્રવાસીઓએ પ્રવેશ ન કરવા બાબતે 1 જુલાઈથી થી 30 નવેમ્બર સુધી પ્રતિબંધ મુકવા હુકમ કર્યો છે. જે જાહેરનામાની વિગતે સ્થાનિક પ્રસિદ્ધિ કરાવવા તેમજ જરૂરી પોલીસ બંદોબસ્ત ફાળવવા વિનંતી છે.








