Amreli News : અમરેલીના જાફરાબાદ બંદરથી દૂર અરબી સમુદ્રમાં એક બોટ પર કામ કરતા ખલાસીને ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક બચાવી લેવાયો હતો. કોસ્ટ ગાર્ડ દ્વારા સમયસર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાતા ખલાસીનો જીવ બચી ગયો હતો.

બોટ પર ખલાસી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
મળતી માહિતી મુજબ, જાફરાબાદથી આશરે 60 નોટિકલ માઇલ (NM) દૂર 'મહેશ્વરી સાગર' નામની બોટમાં એક ખલાસી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત ખલાસીનું નામ ભીખુ નારણભાઈ છે. દરિયાની વચ્ચે આટલે દૂર ઇજા થવાથી ખલાસીની સ્થિતિ ગંભીર બની હતી, જેના કારણે તાત્કાલિક મદદની જરૂર પડી હતી.
કોસ્ટ ગાર્ડનું ઝડપી રેસ્ક્યુ ઓપરેશન
ખલાસીની ઇજાની જાણ થતાં જ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા તુરંત જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કોસ્ટ ગાર્ડની ટીમે પોતાની સ્પીડ બતાવી અને બોટ સુધી પહોંચી, જે ઘટનાસ્થળથી આશરે 30 નોટિકલ માઇલ દૂર હતી. કોસ્ટ ગાર્ડની ટીમે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ખલાસી ભીખુ નારણભાઈને સફળતાપૂર્વક બોટમાંથી બહાર કાઢ્યો હતો.
સ્થળ પર જ સારવાર આપી દરિયા કિનારે ખસેડાયો
રેસ્ક્યુ કર્યા બાદ કોસ્ટ ગાર્ડના જવાનોએ તાત્કાલિક ખલાસી ભીખુ નારણભાઈને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ તેને વધુ સારી અને સઘન સારવાર માટે દરિયા કિનારા સુધી લઈ જવાની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યાંથી માછીમારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતા. કોસ્ટ ગાર્ડના આ ઝડપી અને સમયસરના ઓપરેશનને કારણે એક ખલાસીનો જીવ બચી શક્યો છે.


