Get The App

ગુજરાતમાં મોટાપાયે ખેતી કરવાની ઉત્તમ તક: 125 એકરથી 1000 એકર જમીન મળશે ભાડાપટ્ટે

Updated: Jan 19th, 2021

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં મોટાપાયે ખેતી કરવાની ઉત્તમ તક: 125 એકરથી 1000 એકર જમીન મળશે ભાડાપટ્ટે 1 - image

-  ખેતી માટે જમીનો વધારવા મુખ્યમંત્રીએ હોર્ટીકલ્ચર યોજના કરી જાહેર

- એકરે માત્ર 500 રૂપિયા રહેશે ભાડું

- ગુજરાતમાં ખેતી માટે જમીનો વધારવા ‘મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’  યોજના કરી જાહેર

ગાંધીનગર, તા. 19 જાન્યુઆરી 2021, મંગળવાર

CM વિજય રૂપાણી આજે ગુજરાતની 2021થી 2025 સુધીની હોર્ટિકલચર પોલિસી જાહેર કરી હતી. CM રૂપાણીએ રાજ્ય ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે અને આ પ્રસંગે તેમણે બાગાયત વિકાસ મિશન’ની જાહેરાત કરી હતી.

રાજ્યની ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય કરીને કૃષિ અને બાગાયત ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસથી બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતીનો વ્યાપ વધારવાના નક્કર પરિણામલક્ષી આયોજન સાથે એક મહત્વપૂર્ણ કદમ રૂપે ‘મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’ની જાહેરાત કરી છે. 

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી ખેડવાણની સરકારી પડતર જમીનોને લાંબાગાળાના લીઝ પર ફાળવી તેને ઉપજાઉ બનાવીને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતીથી વધુ આવક મેળવવાનો અને આવા પાક ઉત્પાદનના વેલ્યુએડીશનથી એકસપોર્ટ-નિકાસનું પ્રમાણ વધારવા તથા રોજગારના નવા અવસરો સર્જવાનો આ ‘મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’નો મુખ્ય ઉદેશ્ય છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મિશનની જાહેરાત કરતાં વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં સુકા અને અર્ધસુકા તેમજ દરિયાકાંઠાના ખારાશવાળા વિસ્તારોને કારણે કૃષિ વિકાસ પડકાર રૂપ છે. આમ છતાં આફતને અવસરમાં પલટાવવાની આગવી ક્ષમતા સાથે સરકારે કૃષિ મહોત્સવ, સોઇલ હેલ્ડકાર્ડ, જળસંચય અભિયાન, ડ્રીપઇરીગેશન, સાત પગલાં ખેડૂત કલ્યાણના, કિસાન સૂર્યોદય યોજના મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના જેવા આયામોથી ગુજરાતને કૃષિ વિકાસ દરમાં દેશભરમાં અગ્રેસર રાખ્યું છે.

તેમણે જણાવ્યું કે, રાજ્યની 196 લાખ હેકટર જમીન પૈકીની 50 ટકા એટલે કે 98 લાખ હેકટર જમીન ખેતી હેઠળ આવેલ છે તેમજ પડતર અને બિન ઉપજાઉ જમીનોમાં બાગાયતી અને ઔષધિય પાકોના વાવેતરની વિપૂલ સંભાવનાઓ છે.

ગુજરાતમાં 2019-20ના વર્ષમાં 4.46 લાખ હેકટરમાં ફળ પાક વાવેતર અને 92.61 લાખ મેટ્રિક ટન ઉત્પાદન સાથે દેશના ફળ-શાકભાજીના કુલ ઉત્પાદનમાં 9.20 ટકા જેટલું મહત્વનું પ્રદાન કરેલું છે.

મંત્રીએ ઉમેર્યુ કે, ગુજરાતમાં કુલ પાકોના વાવેતરમાં ઉત્તરોત્તર અંદાજે 20 હજાર હેકટર જેટલો વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો દાડમ, જામફળ, ખારેક, પપૈયા જેવા પાકના હબ તરીકે ઉભરી આવ્યા છે. રાજ્ય સરકારની કૃષિ ટેકનોલોજીને પ્રોત્સાહન, સિંચાઇ સુવિધા અને ખેડૂત હિતકારી નીતિઓના પરિણામે સૂકા, અર્ધસુકા કે ખારાશ ધરાવતા વિસ્તારો પણ કૃષિ ઉત્પાદનની હરિયાળીથી લહેરાતા થયા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

વિજય રૂપાણીએ ખાસ કરીને રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં પિયત પાણી આપવાની યોજનાની સફળતાને પરિણામે આ વિસ્તારોની બિન ઉપજાઉ જમીનોને પણ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ફળ-ઝાડની વાડીમાં પરિવર્તીત કરવામાં આવી છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. 

તેમણે કહ્યું કે, હવે રાજ્ય સરકારે આ જિલ્લાઓમાં આવેલી બિન ઉપજાઉ ઉજ્જડ-બંજર પડતર સરકારી જમીનોમાં પણ અદ્યતન ટેકનોલોજીના સમન્વયથી બાગાયતી ઔષધિય પાક સમૃદ્ધિ દ્વારા નવઘડતર અને ખેડૂતોની આવક બમણી કરવા, રોજગારસર્જન વધારવા આ મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની પહેલ કરી છે. 

મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનનો પ્રથમ તબક્કે રાજ્યના પાંચ જિલ્લા કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અમલ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

આ મિશન અન્વયે બાગાયતી તથા ઔષધિય પાકો માટે રાજ્યમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનમાંથી રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલા વિસ્તારો અને સરવે નંબરની અંદાજે 20 હજાર હેકટર જમીન ફકત આવા પાક વાવેતર માટે 30 વર્ષની લીઝ-ભાડાપટ્ટે ફાળવવામાં આવશે.આના પરિણામે, બિન ઉપજાઉ સરકારી પડતર જમીનોનો યોગ્ય ઉપયોગ કરીને ફળ-ફૂલ, શાકભાજી, મસાલા તેમજ ઔષધિય પાકોની ખેતીનો વ્યાપ વધારવા પ્રોત્સાહન મળશે.એટલું જ નહિ, રાજ્યનું કૃષિ ઉત્પાદન અને આવક વધારી નવી રોજગારીની તકો ઊભી થવાથી દેશના જી.ડી.પી.માં ગુજરાતના કૃષિ ક્ષેત્રનો ફાળો અગ્રેસર રહેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલા આ મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન અન્વયે જમીનની પસંદગી, ફાળવણી તેમજ ભાડા પટ્ટાની સમયમર્યાદા, નજીવા દરે વાર્ષિક લીઝ રેન્ટ અને સિકયુરિટી ડિપોઝીટની સમગ્ર પ્રક્રિયા પારદર્શી પદ્ધતિએ હાથ ધરાશે તેની સંપૂર્ણ વિગતો અને વિશેષતાઓ નીચે મુજબ છે:

- ખેડી ન શકાય તેવી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનો આ યોજના અંતર્ગત પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યકિતઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ફાળવી શકાશે.

- આ માટે પ્રોજેક્ટ દીઠ જમીનનું ક્ષેત્રફળ 125 એકર થી 1000 એકર (50 હેકટર થી 400 હેકટર સુધી) સુધી રહેશે. સમગ્ર રાજ્યમાં આવી અંદાજીત 50 હજાર એકર જમીનોની 30 વર્ષની લીઝ ઉપર ફાળવણી કરાશે.

- બાગાયત વિકાસ મિશનના પ્રથમ તબક્કામાં જે પાંચ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તે જિલ્લાના કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની સમિતિ જિલ્લાઓમાં ઉપલબ્ધ બિન ઉપજાઉ સરકારી પડતર જમીન પૈકી ફાળવવાપાત્ર જમીનના બ્લોક- સર્વે નંબરોની ઓળખ કરી જિલ્લા કક્ષાએ પસંદગી યાદી તૈયાર કરશે.

- આ પસંદગી યાદીના આધારે મહેસુલ વિભાગના પરામર્શમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ જમીનની યાદી આઇ-ખેડૂત પોર્ટલ પર જાહેર કરશે.

- યાદીમાં અગાઉથી નકકી કરાયેલા વિસ્તારો/સર્વે નંબરની જમીનો પૈકી જે જમીનમાં બાગાયતી કે ઔષધિય પાકોની ખેતી કરવા માંગતા હોય તે જમીન ભાડાપટ્ટે મેળવવા અરજદારે પોતાના જમીન વપરાશના આયોજન સાથે આઇ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશે.

- અરજદાર તરફથી ઓનલાઇન મળતી દરખાસ્તની રાજ્યકક્ષાની ટેકનીકલ સમિતિ તાંત્રિક ચકાસણી કરશે અને રાજયકક્ષાની ઉચ્ચ સ્તરીય સમિતિ(હાઇ પાવર કમિટી)ને ભલામણ માટે મોકલશે.

- મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રચાનારી રાજયકક્ષાની ઉચ્ચ સ્તરીય સમિતિ(હાઇ પાવર કમિટી) દરખાસ્ત ચકાસી જમીન ભાડાપટ્ટે આપવા ભલામણ કરશે.

- આવી ભાડાપટ્ટે અપાનારી જમીનની લીઝની મુદ્દત મહત્તમ 30 વર્ષની રહેશે. આમ છતાં લીઝ ધારક અને સરકારની પરસ્પર સંમતિથી, સરકાર લીઝ પૂર્ણ થયે વધુ મુદત માટે ભાડાપટ્ટો લંબાવવા વિચારણા કરી શકાશે.

- લીઝધારક લીઝની મુદત પૂર્ણ થતા પહેલા જમીન પરત આપવા માંગતા હોય તો, જમીન સરકારને પરત આપી શકશે.

-  લીઝની મુદ્દત પૂર્ણ થતા પહેલા જમીન પરત કરવાના કોઇ પણ કિસ્સામાં સરકાર પાસે કોઇ વળતરની માંગણી કરી શકાશે નહી અને કોઇ વળતર મળવાપાત્ર રહેશે નહી.

-  લીઝ માટેની જમીનની સિક્યોરીટી ડિપોઝીટ અને વાર્ષિક લીઝ રેટ નજીવા દરે રાખવામાં આવ્યા છે તેમાં લીઝની જમીન માટે પ્રથમ 5 વર્ષ કોઇ બેઝીક ભાડુ લેવામાં આવશે નહી.

- 6 થી 10 વર્ષ માટે દર વર્ષે એકર દીઠ રૂ. 100

- 11 થી 20 વર્ષ માટે દર વર્ષે એકર દીઠ રૂ. 250

- 21 થી 30 વર્ષ માટે દર વર્ષે એકર દીઠ રૂ. 500 બેઝીક ભાડુ રહેશે.

- સિકયુરિટી ડિપોઝીટ તરીકે એકર દીઠ રુ. 2500 જમીન ફાળવણી વખતે એક સાથે ભરવાની રહેશે. એટલું જ નહિ, પાંચ વર્ષમાં પ્રોજેક્ટમાં મંજુર થયા અનુસારનું ડેવલપમેન્ટ જમીન પર કરવાનુ રહેશે.

- રાજ્ય સરકાર દ્વારા અપાનારી અન્ય સહાય અંગેની વિગતો આપતા જણાવ્યું કે પ્રોજેક્ટમાં સૂક્ષ્મ સિંચાઇની આધુનિક ટેક્નોલોજી વાળી ટપક કે ફુવારા પધ્ધતિની પિયત વ્યવસ્થા માટે સરકાર તરફથી પ્રવર્તમાન ધારાધોરણો મુજબ (GGRC ના નિયત દર મુજબ) મળવાપાત્ર ખર્ચના ૭0% સુધી, ટોપ પ્રાયોરીટીમાં ફક્ત એકવાર સહાય મળશે.

લીઝધારકને ટોપ પ્રાયોરીટીમાં કૃષિ વિષયક વિજ જોડાણ આપવામાં આવશે. આ માટે ખેતી વિષયક કનેકશન ગણીને દર તથા નિયમો લાગુ પડશે.

- કૃષિ વિષયક જોડાણની સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાય તેમ ન હોય તો તેના વિકલ્પ સ્વરૂપે લીઝધારકને સ્વ-વપરાશ માટે જરૂરિયાત મુજબની સોલાર પેનલ (મોટર અને પમ્પસેટ સિવાય) નાખવા માટે પ્રવર્તમાન દર મુજબ થયેલ ખર્ચના 25 % સહાય ફક્ત એક વાર મળવાપાત્ર થશે. મોટા બ્લોક માટે આ સહાય પ્રોરેટા બેઝ પર મળવાપાત્ર થશે.

પોતાના સ્વ-વપરાશ માટે જ સોલર પેનલ / વીંડ મીલ લગાવી શકાશે. જેમાં વધારાની વીજળી વેચી શકાશે નહી.

- લીઝ પરની જમીનના રૂપાંતરીત વેરામાંથી મૂક્તિ આપવામાં આવશે.

- બિન ખેડૂત લીઝધારકને ખેડૂતનો દરજજો મળશે નહી.જેને જમીનની ફાળવણી થયેલ હોય તે લીઝધારકે જ ઉપયોગ કરવાનો રહેશે. જમીન સબલીઝ કે અન્ય ઉપયોગ કરવા આપી શકાશે નહી.

- ભાડાપટ્ટે આપવામાં આવેલી જમીનમાં પેદા થતી પેદાશ માટેની આનુષાંગિક પ્રવૃત્તિના હેતુ માટે જમીન ડીમ્ડ એન.એ. થયેલી ગણાશે. પરંતુ બાંધકામ પ્લાન સક્ષમ સત્તાધિકારી પાસે મંજૂર કરાવી ઉપયોગ કરી શકશે અને તેની સંબંધિત કલેક્ટરને જાણ કરવાની રહેશે તેમજ આવી જમીનો આકારણીને (બિનખેતી આકાર અને અન્ય ઇતર વેરાઓ) પાત્ર રહેશે.

- લીઝની જમીન સુધી પહોંચવા માટે જરૂર પડ્યે સરકાર દ્વારા કાચો એપ્રોચ રોડ ખુલ્લો કરી આપવામાં આવશે. જે માટે જિલ્લા કક્ષાની સમિતિની ભલામણ મેળવી સક્ષમ સત્તાધિકારીની મંજૂરી માટે દરખાસ્ત કરવાની રહેશે.

- સાત સભ્યોની જિલ્લા કક્ષાની જમીન પસંદગી સમિતિ સંબંધિત જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રચાશે.

- આ સમિતિ જે તે જિલ્લા કક્ષાએ આવેલી “બિન ઉપજાઉ સરકારી પડતર” જમીન પૈકી બાગાયતી અને ઔષધીય પાકોની ખેતી માટે ઉપયોગમાં આવી શકે તેવી જમીનના બ્લોક/સર્વે નંબરની યાદી તૈયાર કરીને જે તે પસંદ થયેલ બ્લોક/સર્વે નંબરની જમીન દબાણ કે અન્ય ઉપયોગમાં ન હોય તેની ખાતરી કરી ફાળવણી માટે જાહેર કરવા મંજૂરી માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને યાદી મોકલશે.

- મળેલી અરજીઓની સ્ક્રુટીની કૃષિ સચિવની અધ્યક્ષતાની સાત સભ્યોની ટેક્નિકલ કમિટી કરશે. બાદ આ ટેક્નિકલ સમિતિની દરખાસ્ત અને ભલામણોના આધારે આવી જમીન લીઝ પર ફાળવવાનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રચાનારી 9 સભ્યોની હાઇપાવર કમિટી કરશે. આ કમિટીમાં નાયબ મુખ્યમંત્રી તેમજ કૃષિ, મહેસૂલ મંત્રીઓ, કૃષિ રાજ્યમંત્રી, - મુખ્ય સચિવ તથા મહેસૂલ અને નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ સભ્ય તરીકે અને કૃષિ સચિવ સભ્ય સચિવ તરીકે ફરજ બજાવશે.

- બાગાયતી તેમજ ઔષધિય પાકોના વાવેતર માટે લાંબાગાળાની લીઝ પર જમીન ફાળવવાની નીતિ અંતર્ગત બાગાયત નિયામક અમલીકરણ નોડલ અધિકારી રહેશે.


Tags :