સુરેન્દ્રનગરના ટાગોર બાગ તળાવ સહિત ગંદકીથી ખદબદતા કૂવાઓની સફાઈ કરો
- બગીચા અને રાઇડનું રિપેરિંગ અને રિનોવેશન કરવા માંગ
- શહેરમાં એક માત્ર ફરવા-રમવા ટાગોરબાગ પણ સાફ સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં ૩ લાખની વસ્તી વચ્ચે હરવા-ફરવા માટે એક માત્ર ટાગોરબાગ આવેલો છે. પણ તેમાં પણ તળાવ સહિત આસપાસમાં આવેલ તમામ કૂવાઓમાં ગંદકી અને લીલને કારણે ખુબ જ દુર્ગંધ આવે છે તેમજ કચરાના ઢગ જોવા મળી રહ્યાં છે. આથી તાત્કાલીક ચોમાસા પહેલાં આ કૂવાઓની સફાઈ કરવામાં આવે તેવી સામાજીક સંસ્થાઓ સહિત જાગૃત નાગરિકો અને શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે.
સરકાર દ્વારા એકતરફ સફાઈ અભિયાનની વાત અને જાહેરાતો કરવામાં આવે છે. સફાઈ અભિયાન અંતર્ગત જાહેર સ્થળો પર સફાઈનું નાટક કરી રાજકીય આગેવાનો ફોટો સેશન કરી પ્રસિધ્ધિ મેળવી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ટાગોર બાગમાં આવેલ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે અને ગંદા પાણીથી દૂષિત બન્યો છે તેમજ ટાગોર બાગની અંદર આવેલ મોટાભાગના કૂવાઓમાં પણ કચરો અને ગંદકી જોવા મળી રહી છે. એક તરફ સરકાર દ્વારા 'કેચ ધ રેન' અભિયાન અંતર્ગત લોકોને વરસાદી પાણીનો સંગ્રહ કરવા અપીલ કરવામાં આવી રહી છે ત્યારે કૂવાઓમાં તંત્રની બેદરકારીના કારણે ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે અને બીનઉપયોગી બન્યા છે ત્યારે ચોમાસા પહેલા તળાવ સહિત કૂવાઓની સફાઈ કરવામાં આવે અને વરસાદી પાણીનો તેમાં સંગ્રહ થઈ શકે તેવું આયોજન કરવામાં આવે તો આવનાર દિવસોમાં લોકોને શહેરી વિસ્તારમાં હરવા ફરવા માટે તળાવની સુવિધા મળી શકે અને ભવિષ્યમાં બોટીંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી શકાય. જ્યારે લોકોએ પણ આ મામલે સ્થાનિક તંત્રને સહકાર આપી તળાવ અને કૂવામાં કચરાનો નિકાલ કરવાને બદલે યોગ્ય જગ્યાએ કરવામાં આવે તે જરૂરી છે. મનપા તંત્ર દ્વારા બગીચામાં બાળકોને રમવાના સાધોનું રિ-નોવેશન સાથે સાથે ટાગોર બાગના તળાવ અને કૂવાઓમાં પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.