જૂનાગઢના ગૌરક્ષનાથ આશ્રમમાં અન્નના બગાડ મુદ્દે થઈ બબાલ, ધમાલ મચાવનાર પરિવારે બાદમાં માફી માગી
Junagadh News : ગુજરાતમાં આવેલા અનેક ધાર્મિક સ્થળો ખાતે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જતા હોય છે, ત્યારે જૂનાગઢમાં આવેલા ગૌરક્ષનાથ આશ્રમમાં જમવાની લાઈનમાં ઊભા રહેવા બાબતે પ્રવાસી અને સાધુ સાથે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન અન્નનો બગાડ ન કરવાની સૂચના આપતા મામલો વધુ બિચક્યો હતો અને મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આશ્રમમાં ઘટીત સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જોકે, સમગ્ર મામલે પછી પ્રવાસીઓએ આશ્રમ સંચાલક અને સાધુઓની માફી માગી હતી.
પ્રવાસી-સાધુ વચ્ચે ઝપાઝપી
જૂનાગઢમાં આવેલા ગૌરક્ષ આશ્રમ ખાતે પ્રવાસીઓ અને સાધુ વચ્ચેની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. મળતી માહિતી મુજબ, આશ્રમમાં જમવાની લાઈનમાં ઊભા રહેવાને લઈને સાધુ અને પ્રવાસીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી શરૂ થઈ હતી. જેમાં પ્રવાસીઓ અશોભનિય વર્તન કર્યું હોવાનું સાધુઓનું કહેવું છે. સમગ્ર ઘટના મામલે શેરનાથ બાપાના સેવકોએ મામલો થાળે પાડ્યો હતો. આ પછી પ્રવાસીઓએ સાધુ અને આશ્રમ સંચાલકોની માફી માગી હતી.
આ પણ વાંચો: નારાયણ સાંઇને 5 દિવસના જામીન મળ્યા, જાપ્તા સાથે જોધપુર જવાનો ખર્ચ ભોગવવો પડશે
બીજી તરફ, આશ્રમમાં સાધુએ દર્શનાર્થીઓ પર હુમલો કર્યો હોવાના આક્ષેપ ઊઠી રહ્યા છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પ્રવેશદ્વાર પર જ સાધુ દર્શનાર્થી પર ગરમ અંદાજમાં જોવા મળી રહ્યા છે. આ ઘટના 19 જૂનની હોવાનું સામે આવ્યું છે.
આશ્રમની પ્રતિક્રિયા
ગૌરક્ષનાથ આશ્રમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામમાં સમગ્ર મામલે પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 'ગૌરક્ષનાથ આશ્રમ જૂનાગઢમાં મહંત પીર યોગી શ્રી શેરનાથજી બાપુ બહારગામ હોવાની જાણ થતાં અમુક લોકોએ તેમજ તેમના સાગરીતો દ્વારા જાણી જોઈને આશ્રમમાં ચાલતા સદાવ્રતની ગરિમાને હલકી બતાવવાના પ્રયાસ કરાવ્યા અને પછી પોતાને ભૂલનું પ્રાયશ્ચિત થતાં આશ્રમમાં માફી માંગવામાં આવી...'