Gujarat

કપડવંજમાં સ્મારક કચરાના પોઈન્ટ પર મુકવામાં આવતા નાગરિકોમાં આક્રોશ

By GS TEAM
6 Apr 20262 mins read
કપડવંજમાં સ્મારક કચરાના પોઈન્ટ પર મુકવામાં આવતા નાગરિકોમાં આક્રોશ

- 40 લાખની ગ્રાન્ટના વપરાશ સામે સવાલ

કપડવંજ : કપડવંજમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ૪૦ લાખ રૂપિયાની બ્યુટીફિકેશન ગ્રાન્ટના ઉપયોગને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક સ્મારક હાલ કચરાના પોઈન્ટ પર મુકવામાં આવતા નગરજનોમાં ભારે આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે. 

સરકાર દ્વારા કપડવંજ નગરપાલિકાને બ્યુટીફિકેશન માટે ૪૦ લાખ રૂપિયાની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ યોજના હેઠળ રસ્તાની આસપાસ વૃક્ષારોપણ અને ગાર્ડન વિકાસ, ડેકોરેટીવ લાઈટો, ફૂલ-છોડ અને બેસવા માટે બાંકડા, પેવર બ્લોકવાળા ફૂટપાથ અને રોડ માકગ સાઈન, શહેરની દીવાલો પર રંગરોગાન અને કચરાપેટીઓની વ્યવસ્થા વગેરે કામગીરી કરવાની હતી. નગરપાલિકા દ્વારા આ ગ્રાન્ટમાંથી એક સ્મારક પણ તૈયાર કરવામાં આવ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ સ્મારકને ત્રિવેણી પાર્કની દીવાલને અડકીને એક ખૂણામાં ફૂટપાથ પર મૂકી દેવાયું છે. નવાઈની વાત એ છે કે જ્યાં સ્મારક મુકાયું છે ત્યાં રિક્ષા સ્ટેન્ડ હોવાથી વાહનોનો ખડકલો રહે છે અને સ્મારકની શોભા દેખાતી જ નથી. છેલ્લા એક વર્ષથી આ સ્મારક આ રીતે ઉપેક્ષિત અવસ્થામાં કેમ છે, તેવો પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે. આ બાબતે નગરપાલિકાના એન્જિનિયર વિષ્ણુ પટેલે જણાવ્યું હતું કે, 'આ બ્યુટીફિકેશન આઇકોનિક રોડ માટે કરવામાં આવ્યું છે. જ્યાં કચરો ભેગો થતો હોય અથવા જ્યાં કચરાનો પોઈન્ટ હોય, ત્યાં આ સ્મારક મુકવાનું નક્કી કરાયું હતું, જેથી ત્યાં ગંદકી ન થાય. એટલે જ તેને ત્રિવેણી પાર્કની કમ્પાઉન્ડ વોલ પાસે કચરાના પોઈન્ટ પર મુક્યું છે'