વારંવાર વીજળી વેરણ થવાની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
- ઉનાળાની ગરમીમાં લોકો અકળાયા, ફોલ્ટ સેન્ટર 'નોટ રિચેબલ'
- સુભાષનગર, રિંગરોડ, ભરતનગર, દેસાઈનગર, સરદારનગર વિસ્તારમાં છાશવારે વીજળી ગૂલ
સ્માર્ટ મીટર થકી ગ્રાહકોને સ્માર્ટ બનાવવાના દાવા કરતું વીજતંત્ર વીજ પુરવઠો નિયમિત રીતે ગ્રાહકો સુધી પહોંચાડવામાં જાણે નિષ્ફળ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં ચાલુ સપ્તાહ દરમિયાન છાવશવારે વીજળી ગૂલ થવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. બે દિવસ પૂર્વે શહેરના ગાયત્રીનગર તથા આજુબાજુની સોસાયટીમાં દિવસ દરમિયાન બે ત્રણ વખત વીજળી ગૂલ થઈ હતી. ઉપરાંત ગત બુધવારે રાત્રિના અઢી કલાક સુધી શહેરના સરદારનગર વિસ્તારની સર્વોદય સોસાયટી, ૫૦ વારિયા વિસ્તારમાં વીજળી ગૂલ થતા ઉનાળાની ગરમીમાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. બીજી તરફ દેસાઈનગર વિસ્તારમાં ગત રાત્રિ ઉપરાંત આજે સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં ત્રણ વાર, તેમજ શહેરના ભરતનગર વિસ્તારમાં છેલ્લા થોડાં દિવસોથી દરરોજ સરેરાશ એક વખત વીજળી ગુલ થવાનો પ્રશ્ન ઉદ્ભવે છે. આ ઉપરાંત અખીલેશ સર્કલ શાકમાર્કેટ, રવેચી માતાના મંદિર સામેના વિસ્તારમાં, સાગર પાર્ક, આંગી હાઈટ્સ, સમર્થ ટેનામેન્ટ, માનસપાર્ક તેમજ મંત્રેશ કોમ્પ્લેક્ષ સામે આવેલ એપલ લકઝરીયા ફ્લેટ સહિત આજુબાજુના અમુક વિસ્તારોમાં ગત રાત્રિના ૧ થી ૩ વાગ્યા સુધી વીજ પુરવઠો ખોરવાતા લોકોના વીજ ઉપકરણોને નુકસાન પહોંચ્યું હતું. જ્યારે સુભાષનગર એરપોર્ટ રોડ વિસ્તાર, હરિરામનગર-૧ અને ૨, જગન્નાથ પાર્ક, સુમન ટાઉનશીપ, સુવિધા ટાઉનશીપ સહિતના વિસ્તારોમાં આજે સવારે ૯ થી ૯.૩૦ સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. બીજી તરફ વીજ પુરવઠો ખોરવાયા બાદ ફોલ્ટ સેન્ટરમાં ફોન 'નોટ રિચેબલ' આવતો હોવાથી લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. જ્યારે આ મામલે રોડ રસ્તામાં કરવામાં આવેલા ખોદકામના કારણે અંડરગ્રાઉન્ડ કેબલને નુકસાન થવાથી, તેમજ ફીડર ફોલ્ટમાં જવાના કારણે અને લોડ વધવાના કારણે આ સમસ્યા ઉદ્ભવી હતી અને શક્ય એટલું વહેલો ફોલ્ટ રિપેર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પીજીવીસીએલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું.