હેરિટેજ બિલ્ડીંગ, ધાર્મિક સ્થળની આસપાસ ખોરાક શાખાનું ચેકીંગ: 150 સ્થળે તપાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરના હેરિટેજ બિલ્ડીંગો અને ધાર્મિક સ્થળોની આસપાસ આવેલા હોટલો, રેસ્ટોરન્ટો તેમજ ખાદ્ય લારીઓમાં આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુની સૂચનાથી આરોગ્ય વિભાગની ખોરાક શાખા દ્વારા સમગ્ર સપ્તાહ દરમિયાન વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. અભિયાન હેઠળ અંદાજે 150 જેટલી જગ્યાએ તપાસણી કરવામાં આવી હતી. શહેરમાં પ્રવાસીઓ તેમજ ભક્તોની અવરજવર સતત વધતી રહેતી હોવાથી જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરવામાં આવી હતી.
ખાસ કરીને મંદિર, મસ્જિદ, ચર્ચ તેમજ હેરિટેજ સ્થળોની આસપાસ ખાદ્ય પદાર્થોની વેચાણ કરતી દુકાનો અને લારીઓ પર આરોગ્ય વિભાગની ટીમોએ અચાનક મુલાકાત લઈને ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન ખોરાકની ગુણવત્તા, સ્વચ્છતા, પાણીની વ્યવસ્થા, ખાદ્ય પદાર્થોની સંગ્રહ પદ્ધતિ તેમજ કર્મચારીઓની હાઇજીન બાબતે કડક તપાસ કરવામાં આવી હતી. કેટલીક જગ્યાએ ગંદકી, વાસી ખોરાક, ખુલ્લામાં રાખેલા નાસ્તા તેમજ નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું હતું. આવી જગ્યાઓને તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે કેટલાક ગંભીર કેસોમાં દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગે દુકાનદારોને સ્વચ્છતા જાળવવા, ખાદ્ય પદાર્થો ઢાંકીને રાખવા અને લાયસન્સ સંબંધિત નિયમોનું પાલન કરવા કડક સૂચનાઓ આપી હતી. ખોરાક શાખાના અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરની છબી અને નાગરિકોના આરોગ્યને નુકસાન ન થાય તે માટે આવી તપાસણીઓ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે. ખાસ કરીને તહેવારો અને પ્રવાસી સિઝન દરમિયાન ચેકિંગ વધુ કડક બનાવવામાં આવશે. કામગીરીથી નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.








