શેરીયાજબારાના દરિયાકાંઠેથી 2 લાખનું ચરસ મળી આવ્યું
થોડા દિવસ પહેલાં પણ ચરસનું પેકેટ મળ્યું હતુ 1335 ગ્રામનાં ચરસનાં બિનવારસુ પેકેટ અંગે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
જૂનાગઢ, : માંગરોળ તાલુકાના શેરીયાજ બારાના દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં ચરસનું પેકેટ મળી આવ્યું હતું. બે લાખથી વધુની કિંમતના 1335 ગ્રામ ચરસના પેકેટના પોલીસે કબ્જે કરી અજાણ્યા શખ્સ સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો. શેરીયાજ બારા ખાડી પાસે દરિયા કાંઠે શંકાસ્પદ માદક પદાર્થનું પેકેટ પડયું હોવાની જાણ થતા માંગરોળ મરીન પોલીસનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. તપાસ કરતા શંકાસ્પદ પદાર્થ ચરસ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે જાણ કરતા એફએસએલનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. પરિક્ષણ બાદ આ પેકેટમાં ચરસ હોવાનું સામે આવ્યું હતું. બે લાખથી વધુની કિંમતના ૧૩૩પ ગ્રામ ચરસના જથ્થાને પોલીસે કબ્જે કર્યો હતો. આ અંગે ડીવાયએસપી સહિતના અધિકારીઓની હાજરીમાં વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના હેડકોન્સ્ટેબલ નરેશભાઈ નાજાભાઈ શીંગરખીયાએ ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા શખ્સો સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો.
થોડા દિવસ પહેલા પણ માંગરોળ તાલુકાના દરિયા કાંઠા પરથી બિનવારસુ હાલતમાં ચરસનું પેકેટ મળી આવ્યું હતું. ત્યાં ગઈકાલે વધુ એક ચરસનું પેકેટ મળ્યું છે આથી દરિયાઈ રસ્તે માદક પદાર્થોની હેરાફેરી થતી હોવાની શંકા છે. આ પેકેટ પડી ગયા બાદ તણાઈને દરિયા કાંઠે આવ્યાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. હાલ આ અંગે માંગરોળ મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.