ચંડોળા તળાવ ગેરકાયદે દબાણ કેસ: લલ્લા બિહારી અને તેના પુત્રના શરતી જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા
Ahmedabad News : અમદાવાદના ચંડોળા તળાવની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા હતા. જેમાં ચંડોળા તળાવમાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર ફાર્મ હાઉસ, વીજળી કનેક્શન વગેરે મામલે તંત્રએ લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મહમદની ધરપરડ કરી હતી. કેસમાં જામીન મેળવવા માટે આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં આજે શુક્રવારે(26 સપ્ટેમ્બર) હાઈકોર્ટે લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મહમદના શરતી જામીન મંજૂર કર્યા છે.
લલ્લા બિહારી અને તેના પુત્રના હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા
મળતી માહિતી મુજબ, લલ્લા બિહારી વિરુદ્ધમાં DCB પોલીસ મથકે BNS અને ઇલેક્ટ્રિસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. બંને પિતા પુત્રના DCB પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં સેશન્સ કોર્ટમાં જામીન અરજી ફગાવી દેવાતાં બંને હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. જેમાં આજે (26 સપ્ટેમ્બર) ગુજરાત હાઈકોર્ટે પોલીસ સ્ટેશનમાં હાજરી, ભારત નહી છોડવા સહિતની શરતે જામીન મંજૂર કર્યા છે. જ્યારે પાસા એક્ટ હેઠળ બંને પિતા-પુત્ર સામે કાર્યવાહી ન થાય તેને લઈને હાઈકોર્ટમાં અરજી કરી છે. જોકે, આ મામલે આગામી દિવસોમાં સુનાવણી થશે.
અમદાવાદ શહેરના ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ અને વીજ કનેકશનની સાથે અનેક ગુનાહિત પ્રવૃતિ આચરનાર અને ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને મદદ કરનાર લલ્લા બિહારી નામનો માસ્ટર માઇન્ડ સામે આવ્યો હતો. લલ્લા બિહારીને ભારે જહેમત બાદ રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો હતો. 29 એપ્રિલ, 2025ના રોજ લલ્લા બિહારીના દીકરા ફતેહ મોહમદની ધરપકડ કરી હતી. પોલીસે લલ્લા બિહારીની ધરપકડ કર્યા બાદ ગત 4 મે, 2025ના રોજ અમદાવાદ પોલીસની ટીમ આરોપી લલ્લા બિહારી અને તેના પુત્રને પકડીને ચંડોળા વિસ્તાર ખાતે લલ્લાએ કઈ રીતે કઈ જગ્યાએ દબાણો કર્યા હતા, તે તમામ જગ્યા પર પોલીસ લઈ ગઈ હતી અને નિવેદન નોંધ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં એનઓસી વગરના 385 પીજીને નોટિસ ફટકારી, એએમસીની મોટી કાર્યવાહી
અમદાવાદના ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશનની કામગીરી કરીને તંત્રએ 4000 જેટલા ઝુંપડા, નાના-મોટા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. લલ્લા બિહારીની ધરપકડ બાદ પોલીસે પૂછપરછમાં લલ્લા બિહારી બાંગ્લાદેશીઓની ઘુષણખોરીનું નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. જે માટે તે બાંગ્લાદેશી તેમજ અન્ય એજન્ટોના સંપર્કમાં હતો. સાથે-સાથે તેણે ગેરકાયદે આવકથી સોનામાં રોકાણની સાથે કન્ટ્રક્શનના વ્યવસાયમાં તેમજ ઉત્તરપ્રદેશમાં જમીનમાં મોટાપાયે નાણાં રોક્યા હતા.