ભાજપે મને મંત્રી બનાવવાની ઓફર કરી, કહ્યું - કેસરિયો ધારણ કરી લો, ચૈતર વસાવાનો ધડાકો
Chaitar Vasava News: પેરોલ પર છૂટ્યા બાદ આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છેકે, વિધાનસભાના ચોમાસુ સત્ર વખતે ગાંધીનગર ગયો ત્યારે મને ભાજપના મોટા ગજાના નેતાઓ મળ્યા હતાં. જેમણે મને ઓફર કરીકે, ભાજપમાં જોડાઈ જાઓ, મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે એટલે મંત્રી બનાવી દઈશું.
જનતાના પ્રેમ સામે રૂપિયાની કોઈ કિંમત નથી, લોકોના આશીર્વાદ જ ખરી પૂંજી
ગરુડેશ્વર ખાતે આયોજીત એક કાર્યક્રમમાં આપના ધારાસભ્ય ચેતર વસાવાએ જાહેર મંચ પરથી કહ્યુંકે, હું મંત્રી બની જાઉં કે પછી મુખ્યમંત્રી બની જાઉં. લાખો-કરોડોની મિલ્કતો વસાવી લઉં. પણ જનતાના પ્રેમ સામે કરોડો રૂપિયાની કોઈ કિમત અને વિસાત નથી. લોકોનો પ્રેમ, સાથી મિત્રોનો સહકાર અને વડીલોના આશીર્વાદ જ મારી ખરી ’પૂંજી’ છે.
સભા ચૈતર વસાવાએ ફિલ્મી ડાયલોગ શૈલીમાં કહ્યુંકે, ચૈતર વસાવા કભી ઝુકેગા નહીં. તુમકો ક્યા લગતા થા નહીં લૌટેંગે, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં! આ સાંભળીને કાર્યકરો-લોકોએ તાળી પાડી વાતાવરણ ગુંજવી દીઘું હતું. ભાજપે કરેલી ઓફરનો ઉલ્લેખ કરતાં વસાવાએ કહ્યુંકે, ગરીબ જનતાના આશીર્વાદ અને સહકાર મળ્યો છે જે મંત્રીપદ કરતાં પણ વધુ મૂલ્યવાન છે. ભાજપની ઓફર ઠુકરાવી ચૈતર વસાવાએ મતદારોમાં પોતાનું આગવી છબી ઊભી કરવા પ્રયાસ કર્યો છે.