Gujarat

ગાંધીનગરમાં ગુના આચરતા ચેઈન સ્નેચરની પાસા હેઠળ અટકાયત

By GS TEAM
10 Oct 20252 mins read
ગાંધીનગરમાં ગુના આચરતા ચેઈન સ્નેચરની પાસા હેઠળ અટકાયત

અમદાવાદથી બાઇક ઉપર આવીને

એલસીબી દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને મંજૂરી મળી જતા ભુજની પાલારા જેલ ખાતે મોકલાયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં ચેઇન સ્નેચિંગના ગુનાઓ અટકાવવા માટે એલસીબી દ્વારા રીઢા ચેઈન સ્નેચર સામે કરવામાં આવેલી પાસા દરખાસ્તને મંજૂરી મળી જતા તેની અટકાયત કરીને ભુજ ખાતે આવેલી પાલારા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. અમદાવાદથી બાઈક ઉપર આવીને આરોપી ગુનાઓ આચરતો હતો.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ચેઈન સ્નેચિંગની ઘટનાઓ વધી રહી છે ત્યારે પોલીસ દ્વારા તેને અટકાવવા માટે દોડધામ કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં આ પ્રકારના ગુનાઓ અગાઉ આચરી ચૂકેલા આરોપીઓ સામે કડક હાથે કામ લેવા માટે ગાંધીનગર રેન્જ ડીઆઇજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા આપવામાં આવેલી સૂચનાને પગલે ગાંધીનગર એલસીબી પીઆઇ ડી.બી વાળા દ્વારા આવા ચેઈન સ્નેચરોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જે અંતર્ગત છેલ્લા એક વર્ષ દરમિયાન ગાંધીનગરમાં અમદાવાદ કુબેરનગર ખાતે રહેતા મયુર ઉર્ફે પાપુ નરેન્દ્ર ભાઈ સોલંકી દ્વારા જિલ્લાના અડાલજ, દહેગામ, અને ઇન્ફોસિટી વિસ્તારમાં પોતાના સાગરીત સાથે મોટર સાયકલ પર આવીને મોઢે રૃમાલ બાંધીને આવતા-જતા લોકોની વોચ રાખતો હતો.

જ્યારે પણ મોકો મળતો, તે એકલ-દોકલ જતી મહિલા કે પુરુષના ગળામાંથી સોનાની ચેઇન તોડીને ભાગી જતો હતો. ગાંધીનગર જિલ્લા પોલીસે અગાઉ આ ઇસમને પકડીને કુલ ચાર ગુનાઓ શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેની સામે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને તેને મંજૂરી મળી જતા અટકાયત કરીને ભુજ ખાતેની પાલારા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.