દિલ્હી સરકારને 'રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર' માટે ગુજરાતની એક પણ પંચાયત યોગ્ય ન લાગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Panchayat: કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલયે દેશની 42 ગ્રામ પંચાયતોને પુરસ્કાર માટે પસંદ કરી છે. આ યાદી ગુજરાતનું નામ જ ગાયબ છે. જે ગુજરાત 'વિકાસ મોડેલ'નો દેશમાં અમલ કરવામાં આવી રહ્યો છે તે જ રાજ્યની એક પણ પંચાયત કેન્દ્ર સરકારની નજરમાં સન્માનને લાયક ન ઠરી. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે, ગુજરાતમાં વિકાસ માત્ર વિજ્ઞાપનો અને ભાષણો પૂરતો જ સીમિત છે.
પંચાયતી રાજ મંત્રાલયે પર્યાવરણ, સ્વચ્છતા, આરોગ્ય સહિત સુશાસન આધારે પંચાયતોને પસંદ કરી
પંચાયતી રાજ મંત્રાલયે ‘રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર- 2025’ માટે દેશની કુલ 42 ગ્રામ પંચાયતોની પસંદગી કરી છે. જે પૈકી 34 પંચાયતને દીન દયાલ ઉપાધ્યાય પંચાયત વિકાસ પુરસ્કાર જ્યારે 8 પંચાયતને નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત વિકાસ પુરસ્કાર મળશે. સ્વચ્છતા, પર્યાવરણ, સ્વાસ્થ્ય અને સુશાસનના આધારે ગ્રામ પંચાયતોની કામગીરીના મૂલ્યાંકન આધારે પંચાયતોને પુરસ્કાર આપવા નક્કી કરાયું છે. એટલું જ નહીં, પસંદ કરાયેલી ગ્રામ પંચાયતોને ઍવૉર્ડની સાથે સાથે 5 કરોડ રૂપિયા સુધીનું રોકડ ઇનામ પણ આપવામાં આવશે.
મહત્ત્વની વાત એ છે કે, સ્વાસ્થ્ય, મહિલા-બાળ કલ્યાણ અને સુશાસન જેવા પાયાના મુદ્દાઓ આધારે ગુજરાતની એકેય ગ્રામ પંચાયત પસંદ થઈ શકી નહીં. કુપોષણથી માંડીને ગ્રામીણ આરોગ્ય માળખું અન્ય પાસાઓને લઈને કેન્દ્ર સરકારે ગુજરાતને પુરસ્કારની યાદીમાં બહાર રાખવાનું યોગ્ય ઠેરવ્યું હતું. ‘ડબલ એન્જિન’ સરકારના ગુણગાન ગવાઈ રહ્યાં છે,પરંતુ દિલ્હીના એન્જિને ગાંધીનગરના એન્જિનને સાવ પાટા પરથી ઉતારી દીધું છે.
કાગળ પર ‘સ્માર્ટ વિલેજ’ બનાવતી રાજ્ય સરકાર જમીન પર શૌચાલય અને પીવાના પાણીથી માંડીને માળખાગત સુવિધા પણ સરખી આપી શકી નથી. આ કારણોસર જ સ્માર્ટ વિલેજ ધરાવતી એકેય ગ્રામ પંચાયત એવોર્ડ લાયક ઠરી નહીં. વિપક્ષનો આરોપ છે કે, સરકાર માત્ર મહોત્સવ-ઉત્સવની ઉજવણી અને સમિટોના તાયફા કરવામાં મસ્ત છે. જ્યારે ગામડાના ગરીબો, ખેડૂતો અને મહિલાઓના કલ્યાણના દાવા માત્ર સરકારી ચોપડા અને બજેટના આંકડાઓમાં જ ચમકે છે. આમ, કેન્દ્ર સરકારે જ વાઇબ્રન્ટ ગુજરાતને ગામડાઓની કડવી વાસ્તવિકતા ઉજાગર કરી અરીસો દેખાડ્યો છે.









