મેશ્વો નદી પરનો કોઝવે ધોવાતા ખેડા અને મહેમદાવાદના 40 ગામની હાલત કફોડી
બે વર્ષથી બિસ્માર કોઝવે સમારકામ બાદ વરસાદમાં ધોવાયો
સમારકામ માટે વારંવાર રજૂઆત છતાં માત્ર માટીનું પુરાણ કરી વેઠ ઉતારાતા વિદ્યાર્થી સહિત લોકોને હાલાકી
ખેડા તાલુકાના સમાદરા અને મહેમદાવાદ તાલુકાના સાદરા ગામ વચ્ચે મેશ્વો નદી પર કોઝવે આવેલો છે. આ કોઝ-વે પર બંને તાલુકાના મળી આશરે ૪૦ જેટલા ગામોના લોકો વાહનોની અવરજવર રહે છે. આ કોઝ-વે છેલ્લા બે વર્ષથી તૂટેલી હાલતમાં હોય તેના સમારકામ માટે અવારનવાર રજૂઆત કરવામાં આવી રહી છે. છતાં કોઝ-વેનું સમારકામ કરવાને બદલે માત્ર માટીનું પુરાણકામ કરી વેઠ ઉતારવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરાયો છે. આ કોઝવે ધોવાયને તૂટી જતા ખેડા અને મહેમદાવાદ તાલુકાના ૪૦ જેટલા ગામડાઓનો વાહન વ્યવહાર ખોરવાય જવા પામ્યો છે. કોઝ વે ધોવાઈને તૂટી જવાથી ખેડૂતો નોકરિયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓના સમય અને નાણાંનો વ્યય થશે એટલું જ નહીં પશુપાલકોને પશુઓને ગૌચરમાં ચરાવવા લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે. કોઝ-વે પરથી સાદરા, સમાદરા, મહેમદાવાદ, માતર, કાજીપુરા, ધોળકા તરફ અવરજવર કરવાનો એકમાત્ર રસ્તો છે. ત્યારે સમારકામ ન થતા લોકો ભારે હાલાકીમાં મૂકાયા છે.
- કોઝવે માટે નવા એસ્ટીમેન્ટ મુજબ ગ્રાન્ટ આવતાં કામગીરી હાથ ધરાશે : એક્ઝિક્યુટિવ એન્જિનિયર
ખેડા જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના એજ્યુકેટીવ એન્જિનિયર ધર્મેશ હળપતિએ જણાવ્યું કે, કોઝ-વે 35 વર્ષ જુનો છે. કોઝ-વેના નવિનિકરણ માટે 6 કરોડ ફળવાયા છે પરંતુ નવા એસ્ટીમેન્ટ પ્રમાણે 10 કરોડ આવતા હવે બીજા નાણાં મંજૂર થયાથી તુરંત નવીન બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.