ઉકાઈમાં પાણીની આવક થતા કોઝવે ઓવર ફ્લો થાય તેવી શક્યતાને પગલે બંધ કરાયો

સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ઉકાઈના ઉપરવાસમાં પડેલા કમોસમી વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધી રહી છે તેના કારણે રાંદેર સિંગણપોર વચ્ચે બનાવવામાં આવેલો વિયર કમ કોઝવે પર વાહન વ્યવહાર શરુ કરવા માટે હજી રાહ જોવી પડી શકે છે. હાલમાં કોઝવે ની સપાટી ભયજનક લેવલ થી નીચે છે પરંતુ ઉકાઈમાંથી પાણી છોડવું પડે તેવી શક્યતાને પગલે તકેદારીના ભાગરૂપે કોઝવે બંધ રાખવામાં આવ્યો છે. આ કોઝવે છેલ્લે 18 ઓગસ્ટ બંધ કરવામાં આવ્યો હતો તે હજી થોડા દિવસ બંધ રહેશે.
દિવાળીની સિઝન સાથે સુરતમાં વરસાદનું ફરી માવઠું શરુ થયું છે આ વરસાદ ઉકાઈ ડેમના ઉપરવાસ અને વિયરના ઉપરવાસમાં પણ પડી રહ્યો છે તેથી ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. સતત વરસાદી માહોલ અને ઉપરવાસમાં વધેલી પાણીની આવકને કારણે હાલ ઉકાઈ ડેમની સપાટી 344.96 ફુટ છે અને કોઝવે ની સપાટી 5.79 મીટર છે. એક-બે દિવસમાં વધુ 25,000 ક્યુસેક પાણી છોડાતા કોઝવે ની સપાટી ઓવરફ્લો થાય તેવી શક્યતા છે.
સુરત પાલિકા વિસ્તારમાં રાંદેર- સિંગણપોર વચ્ચે બનાવવામાં આવેલો કોઝવે સીઝનમાં પહેલી વાર 23 જૂન ના રોજ બંધ કરાયો હતો. ત્યારબાદ પાણીનું જળ સ્તર ઘટતા 11 ઓગસ્ટના રોજ કોઝવે ખુલ્લો મુકાયો હતો. જો કે, માત્ર સાત જ દિવસ બાદ ફરી નદીનું જળસ્તર વધતાં 18 ઓગસ્ટે કોઝવે ફરી બંધ કરવો પડ્યો હતો. ત્યારથી આજદિન સુધી કોઝવે સતત બંધ જ છે. વિયર કમ કોઝવે બંધ હોવાથી રાંદેર- સિંગણપોર- કતારગામ વિસ્તારમાં જતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. આ વાહન ચાલકોએ હાલ ચંદ્રશેખર આઝાદ બ્રિજ અથવા જહાંગીરપુરા ડભોલી બ્રિજનો ઉપયોગ કરવો પડે છે. કોઝવે ની ભયજનક સપાટી 6 મીટર છે અને કોઝવે ની સપાટી 5.79 મીટર છે પરંતુ હાલ વરસાદ પડી રહ્યો છે તે અને ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી શક્યતા હોવાથી તકેદારીના ભાગરૂપે કોઝવે બંધ રખાયો હોવાથી હજી સુરતીઓ થોડા દિવસ કોઝવે નો ઉપયોગ કરી શકશે નહીં.

