SEBC-OBC વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદત 1 વર્ષ સુધી વધારી આપવામાં આવી
- જે યુવાઓના આવા દાખલા-પ્રમાણપત્રની મુદત તા.31 માર્ચ-2020ના પૂરી થાય છે તે દાખલાઓ હવે તા.31 માર્ચ-2021 સુધી માન્ય
Updated: Jun 6th, 2020
અમદાવાદ, તા. 06 જૂન 2020 શનિવાર
રાજ્યના લાખો યુવાનો, વિદ્યાર્થીઓ, બાળકો અને વાલીઓ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમા SEBC-OBC વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદત 1 વર્ષ સુધી વધારી આપવામાં આવી છે.
જે યુવાઓના આવા દાખલા-પ્રમાણપત્રની મુદત તા.31 માર્ચ-2020ના પૂરી થાય છે તે દાખલાઓ હવે તા.31 માર્ચ-2021 સુધી માન્ય રાખવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા આવકના દાખલાઓ-પ્રમાણપત્ર જેની મુદત તા.31-3-2020ના પૂરી થતી હોય તે પણ એક વર્ષ એટલે કે તા.31-3-2021 સુધી વધારી આપવામાં આવી છે.
OBC માટેના નોન ક્રિમીલીયર સર્ટીફિકેટ આવક દાખલાની સમયમર્યાદા 3 વર્ષની હોય છે. તેથી મુખ્યમંત્રીશ્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે આવા જે નોન ક્રિમીલીયર પ્રમાણપત્રોની સમયમર્યાદા તા.31-3-2020ના પૂર્ણ થતી હોય તે આપોઆપ તા.31-3-2021 સુધી એટલે કે એક વર્ષ માટે વધારી દેવાશે.
આ મુદત વધારા માટે તેમણે મામલતદાર કચેરી કે કોઇ સક્ષમ સત્તાધિકારી સમક્ષ જવાની કે ઓનલાઇન અરજી કરવાની જરૂર રહેશે નહિ
લોકડાઉન બાદ હવે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થતાં આવા લાખો યુવાઓને નોન ક્રિમીલીયર સર્ટીફિકેટના દાખલા મેળવવા મામલતદાર કચેરી કે સરકારી કચેરીએ જવું નહિ પડે અને તા.31 માર્ચ-2020 એ પૂરા થતા આવા દાખલા વધુ એક વર્ષ એટલે કે તા.31-3-2021 સુધી માન્ય રહેતા મોટી રાહત મળશે
રાજ્યમાં અનૂસુચિત જાતિ-જનજાતિના યુવાઓ-લોકોને જે જાતિ પ્રમાણપત્ર આપવામાં આવે છે તે આજીવન માન્ય રહે છે. આવા SC, ST જાતિ પ્રમાણપત્ર ધારકોએ પણ જે-તે સક્ષમ સત્તાધિકારી પાસેથી મેળવેલા પ્રમાણપત્રો માન્ય રહેશે.