કચ્છ ભાજપના મહિલા અગ્રણીના પુત્રની કંપની પાસે રૂ. 6.95 કરોડ વસૂલવા કેસ
જામનગરની વધુ એક કંપનીની કચ્છના મૌલીન આચાર્ય સામે કાનુની લડત : ગુજરાત વિધાનસભાનાં પૂર્વ અધ્યક્ષાના પુત્ર જે કંપનીમાં ડાયરેક્ટર છે તેણે કાર્ગો હેન્ડલિંગ સહિતનાં કામોનું પેમેન્ટ નહીં ચૂકવતાં ટ્રિબ્યુનલમાં ફરિયાદ
જામનગર, : ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા નિમાબેન આચાર્યના પુત્ર જે કંપનીમાં ડાયરેકટર છે, તે કંપની સામે કરોડો રૂપિયાની વસુલાત માટે વધુ એક ફરિયાદ નેશનલ લો કંપની ટ્રીબ્યુનલમાં નોંધાવવામાં આવી છે. જામનગર શહેરની સિધ્ધી મરિન સર્વિસ એલએલપી કંપનીએ એન.સી.એલ.ટી.માં કરેલા કેસમાં જાહેર કરાયેલી વિગતો મુજબ ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા કચ્છના નીમાબેન આચાર્યના પુત્ર મૌલીન ભાવેશભાઈ આચાર્ય રિંગલ શિપિંગ પ્રા.લી. (આર.સી.સી.લિ.) માં ડાયરેકટર છે. તેમાં અન્ય ડાયરેકટરો તરીકે નરેન્દ્રસિંહ દલપતસિંહ રાણા, દિલીપ નાનુભાઈ શાહ અને પારસ ચૌધરી છે.
કચ્છની રિગલ શિપિંગ માટે વર્ષ 2016-17માં તેમજ વર્ષ 2018-2021 દરમ્યાન આર.સી.સી. લિ. કંપની માટે જામનગરની સિધ્ધી મરિન સર્વિસ એલ.એલ.પી.એ કાર્ગો હેન્ડલીંગ, સ્ટીવડોરિંગનું કામ તેમજ બાર્જનું કામ કર્યું હતું. જેના બીલની રકમ પેટે કચ્છની કંપનીએ વર્ષ 2022માં થોડા નાણાં જામનગરની કંપનીને ચુકવ્યા હતાં. પરંતુ હજુ સુધી બીલની રકમ તથા વ્યાજ સહિતની રૂ.6,95,88,716ની રકમ ચુકવવામાં આવી નથી, જેથી જામનગરની સિધ્ધી મરીન સવસ એલ.એલ.પી.એ. કચ્છના ગાંધીધામ સ્થિત આર.સી.સી. લિમિટેડ (રિગલ શીપિંગ પ્રા.લિ.) સામે આ લ્હેણી રકમ વસુલવા માટે નેશનલ લો ટ્રીબ્યુનલમાં કેસ નોંધાવ્યો છે. આ કેસમાં ફરિયાદી કંપનીના વકીલ તરીકે રાજેશ સવજાણી અને હિતેન ભટ્ટ રોકાયા છે.અત્રે એ ઉલ્લેખનિય છે કે કચ્છના આ જ અગ્રણી નિમાબેન આચાર્યના પૂત્ર મૌલીન આચાર્ય જે કંપનીમાં ડાયરેકટર છે તેની સામે જામનગરની શ્રીજી શીપિંગ કંપનીએ પણ રૂ.સાડા આઠ કરોડ જેટલી લ્હેણાંની વસુલાત માટે અલગથી કેસ કરેલો છે.