Panchmahal News : ગુજરાતના પંચમહાલના શહેરાના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ATMમાં છેલ્લા બે દિવસથી નાણાં ન હોવાના કારણે ATM કાર્ડ ધારકોને ભારે હાલાકી પડી રહી હોવાનું સામે આવ્યું છે. બંને ATMમાં રોકડ ન હોવાથી લોકોને રોકડ વ્યવહાર કરવામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જ્યારે આ મામલે કાર્ડ ધારકોએ બેંક મેનેજમેન્ટ દ્વારા ATMમાં રોકડ ભરવામાં આવે તેવી માગ કરી હતી.

પંચમહાલના શહેરા-લુણાવાડા હાઇવે પર આવેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બંને ATM છેલ્લા બે દિવસથી બંધ છે. જ્યારે ATMની બહાર રોકડ ન હોવાના બોર્ડ લગાવામાં આવ્યા છે. જ્યારે હાલ લગ્ન સિઝન ચાલી રહી છે, ત્યારે ATM કાર્ડ ધારકો ATMના ભરોસે રહેતા હોય છે.
ATM કાર્ડ ધારકોનું કહેવું છે કે, મોટાભાગના લોકો પોતાની બચત બેંકમાં જમા રાખતા હોય છે. જ્યારે એમાંથી જરૂર પ્રમાણેના રોકડા ઉપાડતા હોય છે. આમ શહેરા-લુણાવાડા હાઇવે પર આવેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બંને ATMમાં રોકડ નાણાં ન હોવાના કારણે કાર્ડ ધારકોને ભારે મુશ્કેલી પડી રહી છે.


