Jamnagar Car Fire : જામનગરમાં મચ્છર નગર વિસ્તારમાં બળીયા હનુમાનના મંદિર પાસે મુખ્ય રોડ પર પાર્ક કરેલી ભરતગીરી ગોસ્વામી નામના વ્યક્તિની માલિકીની જી.જે. 10 ટી.એક્સ. 8024 નંબરની કારમાં એકાએક વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી ગઈ હતી, અને કાર ભડકે બળી હતી, જેથી લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
જે દરમિયાન કોઈ વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને પાણી મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. પરંતુ તે પહેલાં મોટાભાગની કાર આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. ઇલેક્ટ્રીક વાયરીંગમાં શોર્ટ સર્કિટ થયું હોવાથી આગ લાગી હોવાનું અનુમાન કરાયું હતું. સદભાગ્યે કારમાં કોઈ બેઠું ન હોવાથી જાનહાની ટળી હતી.


