Gujarat

રાજપીપળાથી અમદાવાદ પીરાણા જતા સંઘના ચાલતા શ્રધ્ધાળુઓ પર કાર ફરી વળી, એકનું કરૃણ મોત

By GS TEAM
14 Mar 20261 min read
રાજપીપળાથી અમદાવાદ પીરાણા જતા  સંઘના ચાલતા શ્રધ્ધાળુઓ પર કાર ફરી વળી, એકનું કરૃણ મોત

વડોદરા, તા.14 રાજપીપળાથી અમદાવાદમાં પીરાણા ખાતે ચાલતા જતા સંઘના શ્રધ્ધાળુઓ પર વડોદરા નજીક આલમગીર પાસે એક કાર ફરી વળતા એક યુવાન શ્રધ્ધાળુનું સ્થળ પર કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લાના નાંદોડ તાલુકાના રાજપીપળા ખાતે નવા ફળિયામાં રહેતા શનુભાઇ ઇશ્વરભાઇ માછી તેમનો મોટો પુત્ર અલ્કેશ અને નાનો પુત્ર પ્રતિક (ઉ.વ.૩૨) ત્રણે તા.૧૧ના રોજ રાજપીપળા ખાતેથી સમાજના નિષ્કલંકી નારાયણ પ્રેરણાપીઠ પીરાણાનો યાત્રા સંઘ ચાલતો રાજપીપળાથી અમદાવાદ ખાતે પીરાણા જવા નીકળ્યો હતો તેમાં સામેલ થયા હતાં. આ સંઘમાં શનુભાઇ છોટા હાથી ટેમ્પામાં આગળ બેસી સંઘના ચાલતા શ્રધ્ધાળુઓની સેવા કરતા હતાં.

ગઇકાલે સવારે સંઘના યાત્રાળુઓ પોરથી અમદાવાદ તરફ જવા માટે નીકળ્યા હતાં અને નેશનલ હાઇવે પર રોડની સાઇડ પર ચાલતા હતાં. દરમિયાન આલમગીર ગામ પાસેથી સંઘ પસાર થતો હતો ત્યારે સવા સાત વાગ્યાની આસપાસ ભરૃચ પાસિંગની પૂરપાટઝડપે આવતી એક કાર સંઘના યાત્રાળુઓમાં ઘૂસી જઇ પ્રતિક અને અન્ય શ્રધ્ધાળુ મહેન્દ્ર રમેશભાઇ માછી (ઉ.વ.૪૧)ને અકસ્માત કરી કાર રોડની સાઇડમાં આવેલ ગૌચરના ખાડામાં ઘૂસાડી દીધી હતી.

અકસ્માતના પગલે સંઘના શ્રધ્ધાળુઓ ભેગા થઇ ગયા હતા જો કે પ્રતિકનુ સ્થળ પર જ મોત નિપજ્યુ હતું જ્યારે મહેન્દ્રભાઇને ગંભીર ઇજા થતા તેમને સારવાર માટે ખસેડાયા છે. આ અંગે વરણામા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.