Gujarat

કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમવતા 3 કારને અડફેટે લીધી

By GS TEAM
23 Jul 20252 mins read
કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમવતા 3 કારને અડફેટે લીધી

સુરેન્દ્રનગરમાંં બી-ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેની ઘટના

રાત્રીનો સમય હોવાથી તેમજ કાર પાર્ક કરેલી હોવાથી જાનહાની ટળી ઃ અકસ્માત સર્જી ચાલક ફરાર

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર સોમવારે મોડી રાત્રે કાર ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી રસ્તા પર પાર્ક કરેલી બેથી ત્રણ કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોતો. જે અંગેના સીસીટીવી પણ સામે આવ્યા હતા જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર બી-ડિવીઝન પોલીસ સ્ટેશન પાસે પુર ઝડપે વઢવાણ તરફથી આવી રહેલી એક કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં પાર્ક કરેલી બેથી ત્રણ કાર સાથે ઘડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જ્યારે કાર ચાલક અકસ્માત સર્જી નાસી છુટયો હતો. સદ્દનસીબે રાત્રીનો સમય હોવાથી તેમજ કાર પાર્ક કરેલ હોય તેમાં કોઈ વ્યક્તિ બેઠા નહીંં હોવાથી જાનહાની ટળી હતી. બનાવની જાણ થતાં બી-ડિવીઝન પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. બનાવના સીસીટીવી સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે અકસ્માત સર્જનાર કાર સહિત અન્ય કારને નુકસાન પણ પહોંચ્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં રાત્રીના સમયે બાઈક સહિત કાર ચાલકો દ્વારા પુરઝડપે કાર ચલાવી પોતાના સહિત લોકોના જીવનું જોખમ ઉભું કરે છે ત્યારે પોલીસ દ્વારા આવા બેફામ દોડતા વાહનચાલકો સામે રાત્રી દરમ્યાન ચેકિંગ હાથ ધરી કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે.