રાજકોટના ધોરાજી નજીક કાર ઝાડ સાથે અથડાતા 4ના કમકમાટીભર્યા મોત, 2ની હાલત નાજુક
Car Accident Near Rajkot: રાજકોટ જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ધોરાજીના સુપેડી ગામ પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઝાડ સાથે ટકરાઇ હતી. કારમાં સવાર 6 લોકોમાંથી 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે બે લોકો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ધોરજીથી ઉપલેટ કાર લઇને જઇ રહેલા 6 લોકોને સુપેડી ગામ પાસે અકસ્માત નડ્યો હતો. આ લોકો વીડિયોગ્રાફી માટે જઇ રહ્યા હતા, આ દરમિયાન કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડની સાઇડમાં આવેલા ઝાડ સાથે અથડાઇ હતી અને ત્યારબાદ પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બે લોકોને ઇજા પહોંચતાં જુનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતના પગલે આસપાસમાંથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ અને નેશનલ હાઇવેની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તબક્કે અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે સોમવારે ભારે પવન હોવાના લીધે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોઇ શકે છે. પોલીસે પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ કિશોરભાઈ ચંદુભાઈ હિરાણી (ઉં.વ.64, રહે. ધોરાજી), વલ્લભભાઈ ધીરજલાલ રૂંધાણી (ઉં.વ.57, રહે. ધોરાજી), અફતાબભાઈ આસિફભાઈ પઠાણ (ઉં.વ.19, રહે. ધોરાજી) અને મોહમદભાઈ સુમરા (રહે. ધોરાજી) તરીકે કરી છે, જ્યારે ઈજાગ્રસ્તના નામ રશ્મિન ગાંધી અને ગૌરાંગ રૂઘાણી છે.