Get The App

શિત પ્રદેશ શિમલાનાં કેપ્સિકમનો કાળઝાળ રાજકોટમાં મબલખ ઉતાર

Updated: Jun 8th, 2025

GS TEAM


Google News
Google News
શિત પ્રદેશ શિમલાનાં કેપ્સિકમનો કાળઝાળ રાજકોટમાં મબલખ ઉતાર 1 - image


સૌરાષ્ટ્રભરમાં માત્ર પરાપિપળિયા ગામે કેપ્સિકમની ખેતી

ખેડૂતોને પ્રેરણા આપતો કિસ્સોઃ કેપ્સિકમની ખેતી કરી પહેલાં જ વર્ષે નવ ટન જેટલી ઉપજ સાથે અને ૮.૬૦ લાખનો નફો મેળવ્યો   

રાજકોટ: વિવિધ વ્યંજનોમાં વપરાતા કેપ્સિકમ સામાન્ય રીતે શિમલા ઉપરાંત દિલ્હી સહિતનાં ઠંડા પ્રદેશોમાં જ પાકે છે પરંતુ ગુજરાતની કાળઝાળ ગરમીમાં પણ રાજકોટના પરાપિપળિયા ગામના એક ખેડૂતે પોતાનાં ખેતરમાં પોલીહાઉસ બનાવી કેપ્સિકમની ખેતી કરી છે. સામાન્ય ઉપજથી કુલ જેટલો નફો થાય તેટલો નફો તેમને એક પાક વાવીને થયો છે. આ નવીનત્તમ પ્રયોગથી તે બીજા ખેડૂતોને પણ આ દિશામાં આગળ વધવાની પ્રેરણા આપી રહ્યા છે.

રાજકોટના પરાપિપળિયા ગામના ખેડૂત ભોવાનભાઇ પ્રભાતભાઇ રાઠોડ (ઉ.વ.૩૦)એ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે કૃષિ ક્ષેત્રે નવું દ્વાર ખોલ્યું છે. તેમણે પોતાનાં પોણા સાત એકરનાં ખેતરમાંથી એક એકર જેટલી જગ્યામાં પોલીહાઉસ અને નેટહાઉસ બનાવ્યાં છે. તેનાથી  તેમની ઉપજમાં અને આવકમાં સામાન્ય ઉપજની સરખામણીએ ખાસ્સો ફાયદો થયો છે. પોલીહાઉસમાં તેમણે કેપ્સિકમનું વાવેતર કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તેમને કેપ્સિકમની ખેતી કરવાની પ્રેરણા તેમના કાકા પાસેથી મળી હતી. વર્ષ-૨૦૨૩માં  સૌપ્રથમવાર કેપ્સિકમ વાવીને નવ ટન જેટલી ઉપજ અને ૮.૬૦ લાખનો  નફો મેળવ્યો હતો, પરંતુ ગયા નવેમ્બર  મહિનામાં રોગને કારણે ઉપજમાં ઘટાડો થઇને સાડા સાત લાખ જેટલો નફો મેળવ્યો હતો. 

તેમના  કાકાએ વર્ષ-૨૦૧૫માં પોલીહાઉસ બનાવી પહેલાં ફૂલોનું વાવેતર કર્યું હતું. વર્ષ-૨૦૧૯ સુધી તે સફળ ન થતાં કોરોનાકાળ દરમિયાન તેમના કાકાએ કેપ્સિકમ ઉગાડી અને તેનું વેચાણ શરૂ કર્યું હતું. ભોવાનભાઇએ એકાદ વર્ષ સુધી રાહ જોયા બાદ અને સબસીડીની પ્રક્રિયા કર્યા પછી બાવીસ લાખનું પોલીહાઉસનું શરૂઆતનું સ્ટ્રક્ચર તૈયાર કરી કેપ્સિકમ વાવવા માંડયા હતા. તેની સાથે તેમણે નેટહાઉસ પણ બનાવેલું છે. તેમાં તેમણે જાન્યુઆરી માસમાં ટમેટાં વાવ્યાં હતાં, જે હજી ચાલુ હોવાથી તે ઊતરી ગયા પછી બ્રોકલીનો પાક ઉગાડવા ધાર્યું છે. સવા વીઘા ખુલ્લાં ખેતર કરતાં નેટહાઉસની ઉપજમાં દોઢથી બે લાખ રૂપિયાનો નફો મળે છે. રાજકોટના બાગાયાત અધિકારી અસિત ટાંક કહે છે કે પોલીહાઉસ અને નેટ હાઉસ બનાવવા મળતી પ્રતિ એકર દોઢ લાખની સહાયનો લાભ લઈ કૃષિકારોએ અર્થોપાર્જન વધારવું જોઈએ.

ભોવાનભાઇએ પોલીહાઉસની થોડીક જગ્યામાં બેસિલનો છોડ વાવ્યો છે. આ સિવાય, પોલીહાઉસમાં આ વર્ષના માર્ચ મહિનાના અંતમાં ફ્લાવરના રોપ વાવ્યા છે, જેથી પાકને વરસાદથી અને ઈયળથી બચાવી એકદમ સફેદ ફૂલ મેળવી શકાય.

ખેડૂતો કેપ્સિકમની ખેતી નથી કરતા તેનાં કારણો

કેપ્સિકમના છોડ માટે ૩૫ ડિગ્રી સુધીનું જ તાપમાન જરૂરી હોવાથી પોલીહાઉસ બનાવવા જતાં શરૂઆતનું રોકાણ વધુ ખર્ચાળ બની જાય છે. * અન્ય પાકોની સરખામણીએ વધુ કાળજી અને બારીકાઇથી નિરીક્ષણ કરવું પડે છે. * અન્ય શાકભાજીઓની જેમ કેપ્સિકમની હરાજી થતી ન હોવાથી દલાલ દ્વારા વેંચવા પડે છે, તેથી દલાલ કહે તે મુજબનો ભાવ માન્ય રાખવો પડે છે.

કેપ્સિકમની ખેતી વિશે જાણવા જેવું 

વર્ષના અન્ય પાકોની ઉપજ સામે ૧૦ ગણો ફાયદો. * સ્ટોકમાં ૧૦થી ૧૫ દિવસ સુધી છોડ પર રાખવામાં આવે તો બગડે નહીં. *  કેપ્સિકમનું વાવેતર સૌથી વધુ ઉત્તર ભારતના ભાગોમાં અને વાવણીની શરૂઆત જુલાઈ માસમાં થાય છે. * એક જ રોપામાં અલગ- અલગ ખાતર નાખી માર્કેટની ડિમાન્ડ મુજબ લાલ અને પીળાં કેપ્સિકમ મેળવી શકાય. * ટપક સિંચાઇનો ઉપયોગ થતો હોવાથી પાણીનો વ્યય થતો અટકાવી શકાય.

Tags :