Get The App

સ્થાનિક સ્તરે જ અદ્યતન હોસ્પિટલ ઉભી કરી કેન્સરને કેન્સલ કરવુ છે : મુખ્યમંત્રી

Updated: Jul 20th, 2021

GS TEAM


Google News
Google News
સ્થાનિક સ્તરે જ અદ્યતન હોસ્પિટલ ઉભી કરી કેન્સરને કેન્સલ કરવુ છે : મુખ્યમંત્રી 1 - image


- ભાવનગરમાં કેન્સર હોસ્પિટલ સહિતના વિકાસકામોના લોકાર્પણ-ખાતમૂહુર્ત કરાયા 

- મુખ્યમંત્રીએ ભાજપના વિકાસની વાતો કરી અને કોંગ્રેસની ટીકા કરી  : 292 આવાસ, વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટનુ લોકાર્પણ, આરસીસી રોડનુ ખાતમૂહુર્ત કરાયુ  

ભાવનગર : કેન્સરની સારવાર માટે નાણાના અભાવે રાજ્યનો કોઈપણ નાગરીક જાન ન ગુમાવે તે માટે સ્થાનિક સ્તરે જ અદ્યતન કેન્સર હોસ્પિટલો ઉભી કરી કેન્સરને કેન્સલ કરવુ છે તેમ આજે મંગળવારે ભાવનગરમાં કેન્સર હોસ્પિટલ સહિતના વિકાસકામોના લોકાર્પણ-ખાતમૂહૂર્ત માટે આવેલા ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું. મુખ્યમંત્રીએ ભાજપના વિકાસની વાતો કરી હતી અને કોંગ્રેસની ટીકા કરી હતી. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતાં. 

ભાવનગર શહેરની જનસુખાકારી અને આરોગ્ય સુવિધા માટે રૂ. ૭૦ કરોડના વિકાસકામોની ભેટ આજે મંગળવારે મુખ્યમંત્રીએ આપી હતી. ભાવનગરમાં ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટયુટ સંચાલિત ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટનો સર તખ્તસિંહજી હોસ્પિટલમાં પ્રારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકારે આ હેતુસર અમદાવાદની ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ સાથે એમઓયુ કરેલા છે. ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં રૂ. ૩ર.૧૧ કરોડના ખર્ચે અદ્યતન સારવાર સાધનો સાથે ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયૂટ નિર્માણ પામ્યુ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ. ૧૮.૮૮ કરોડના ખર્ચે નિમત ર૯ર આવાસનુ ડિજીટલ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. ભાવનગર મહાનગરમાં નારી ખાતે અમૃત યોજના અન્વયે રૂ. પ.ર૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા પાંચ એમ.એલ.ડી ક્ષમતાના વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ હતું. સ્વણમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. ર.રપ કરોડના ખર્ચે સિટી બ્યૂટિફિકેશન અંતર્ગત નિર્માણ થયેલા નારી ગામના તળાવનું અને દુઃખીશ્યામ બાપા સર્કલથી અધેવાડા તરફ ભાવનગર મહાપાલિકાની હદ સુધી રૂ. ૧૦.૯૯ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સી.સી. રોડના કામનું ખાતમૂહુર્ત કરાયુ હતું. 

મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, ભાવનગરમાં કેન્સર હોસ્પિટલ બની છે તેનો લાભ ભાવનગરની સાથે અમરેલી અને બોટાદના નાગરીકોને પણ મળશે. અગાઉ કેન્સરની સારવાર માટે મુંબઈ જવુ પડતુ હતુ અને સારવાર મોંઘી પણ હતી. વર્ષ ર૦૦૦ સુધી રાજ્યમાં મેડિકલની માત્ર ૯૦૦ બેઠકો હતી તે આજે બે દાયકામાં વધારીને ૬પ૦૦ કરવામાં આવી છે. કોંગ્રેસે માત્ર સ્ટ્રકચરો ઉભા કર્યા પરંતુ ભાજપે સાચા અર્થમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભા કર્યા છે. કોંગ્રેસે નર્મદા ડેમનુ માળખુ બનાવ્યુ પરંતુ તેને ખરા અર્થમાં સાકાર કરવાનુ કામ વડાપ્રધાન મોદીએ કર્યુ છે. ભાવનગરમાં સી.એન.જી. ટર્મિનલ શરૂ કરવામાં આવશે. અલંગનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આજની તારીખે ૩ કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના સામેની લડાઈમાં રસીકરણ એ જ હથિયાર છે. 

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, અખંડ ભારતના નિર્માણ માટે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલને પોતાનુ રાજ્ય સૌપ્રથમ સમર્પિત કરીને ભાવનગરનુ નામ ઉજ્જવળ કરી દીધુ છે. વર્ષ ર૦૧૩માં આ હોસ્પિટલનુ ખાતમૂહુર્ત મેં કર્યુ હતુ અને આજે કેન્સર હોસ્પિટલ તૈયાર થઈને લોકોની સેવા માટે સમર્પિત થઈ રહી છે, તેનો આનંદ છે. સર તખ્તસિંહજી હોસ્પિટલમાં નવુ ૧૩ માળનુ બિલ્ડીંગ બનાવવાની તથા જૂના અન્ય બિલ્ડીંગમાં પણ સુધારા-વધારા કરવા માટે ઈજનેરો સાથે સમીક્ષા કરી છે. 

ભાવનગરમાં યોજાયેલ લોકાર્પણ-ખાતમૂહુર્ત કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, બિલ્ડીંગ બન્યાના ૮ વર્ષ બાદ કેન્સર હોસ્પિટલનુ લોકાર્પણ કરવામાં આવ્યુ છે ત્યારે હોસ્પિટલ હવે તત્કાલ શરૂ થાય અને દર્દીઓને સારી સારવાર મળે તેવુ આયોજન કરવુ જરૂરી છે તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે. 


Tags :