Get The App

વડોદરામાં સયાજીગંજ વિધાનસભા વિસ્તારને ઝૂંપડપટ્ટી મુક્ત કરવાનું અભિયાન : ઝૂંપડપટ્ટી તોડવા જતા ભાજપ-કોંગ્રેસ આમને સામને

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં સયાજીગંજ વિધાનસભા વિસ્તારને ઝૂંપડપટ્ટી મુક્ત કરવાનું અભિયાન : ઝૂંપડપટ્ટી તોડવા જતા ભાજપ-કોંગ્રેસ આમને સામને 1 - image

Vadodara : વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં વર્ષોથી બંધાઈ ગયેલા ઝૂંપડા તથા કાચા પાકા મકાનો તોડવાની કામગીરી શરૂ થતા ભાજપ કોંગ્રેસના આગેવાનો આમને સામને આવી ગયા હતા. જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઝુંપડા નહીં તોડવાની માંગણી સાથે વિરોધ કર્યો હતો જ્યારે ભાજપના સયાજીગંજના ધારાસભ્યએ સયાજીગંજ વિસ્તારને ઝૂંપડપટ્ટી મુક્ત વિસ્તાર બનાવાની નેમ સાથે ઝૂંપડાવાસીઓને મકાનની ફાળવણી કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

શહેરના ગોરવા વિસ્તારમાં મધુનગર ચાર રસ્તા પાસે પાલિકાના પ્લોટમાં ઉભા કરી દેવામાં આવેલા કાચા પાકા મકાનોને પાલિકા તંત્રએ તોડી પાડ્યા હતા અને સરકારી જગ્યા ખુલ્લી કરી હતી. સ્થાનિક રહીશોએ ફરજ પરના દબાણ શાખાના અધિકારીનો ઘેરાવો કરી ઉગ્ર રજૂઆતો કરતા મામલો ઘરમાં આવ્યો હતો અને ઝૂંપડા તોડવાની કામગીરી અટકાવી હતી. ત્યારબાદ ભાજપ ધારાસભ્ય કેયુર રોકડિયા સ્થળ પર પહોંચી ગયા બાદ કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી.

શહેરના ગોરવા વિસ્તારમાં મધુનગર ચાર રસ્તા પાસે ફાઇનલ પ્લોટ 108માં પાલિકાનો કોમર્શિયલ પ્લોટ આવેલો છે. આ ખુલ્લી જગ્યામાં અહીંના કેટલાક લોકોએ મકાન બનાવી ગેરકાયદેસર દબાણ કર્યું હતું. કાચી પાકી દીવાલો સાથે ઉપર પતરાના શેડ લગાવી જમીન પર દબાણ ઊભું કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે પાલિકા તંત્રએ દબાણકર્તાઓને નોટિસ આપી જગ્યા ખુલ્લી કરવાની મુદત આપી હતી. છતાં અહીંના દબાણો યથાવત રહ્યા હતા. આખરે આજે પાલિકાનું તંત્ર એક્શનમાં આવતા કોમર્શિયલ પ્લોટમાં કાચા, પાકા મકાનો પર બુલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરી દેવામાં આવી હતી. ગોરવાની જમીનમાં ગેરકાયદે મદરેસા પણ બાંધવામાં આવ્યું હતું તેની પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું જેને રોકવા માટે કોંગ્રેસના પૂર્વ પ્રમુખે પ્રયાસ કર્યો હતો.