સુરતમાં વેપારી પાસે હોલસેલમાં દાગીના ખરીદી રાજકોટનો વેપારી દુકાન બંધ કરી ફરાર
નવસારી બજારના ઝીલ્સ ડિઝાઇન્સમાંથી રાજકોટના અમૃત ઓરનામેન્ટના દિવ્યેશ અડેશરાએ કુલ રૂા. 26.36 લાખના દાગીના લીધા હતા : અવારનવાર ઉઘરાણી કરતા રૂ. 5 લાખનું પેમેન્ટ કરી બાકી પેમેન્ટ નહીં કરી દિવ્યેશ અડેશરા ફોન અને દુકાન બંધ કરી ગાયબ
સુરત/ રાજકોટ : સુરતના નવસારી બજાર ચાર રસ્તા ખાતે દુકાન ધરાવતા વેપારી પાસેથી હોલસેલમાં દાગીના ખરીદી રાજકોટનો વેપારી બાકી પેમેન્ટ રૂ. 21.36 લાખ ચૂકવ્યા વિના ફોન અને દુકાન બંધ કરી ફરાર થઈ જતા અઠવાલાઈન્સ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડુમસ રોડ વાય જંકશન પાસે વીઆર મોલની ગલીમાં રીવુલેટ રેસીડેન્સી ફ્લેટ નં.૧૧૦૨ માં રહેતા ૫૬ વર્ષીય પિયુષભાઇ ચંદુલાલ શાહ નવસારી બજાર ચાર રસ્તા સૈફી એપાર્ટમેન્ટ ખાતે ઝીલ્સ ડીઝાઈન્સના નામે સોનાચાંદીના દાગીનાનો વેપાર કરે છે.રાજકોટ લક્ષ્મીવાડી ખાતે અમૃત ઓરનામેન્ટસના નામે દુકાન ધરાવતા દિવ્યેશ દિનેશચંદ્ર અડેશરા ઓગષ્ટ 2022 માં પિયુષભાઈની દુકાને આવ્યા હતા અને સેલ્સ મેનેજર ગૌતમ પુરોહિતને મળી રાજકોટમાં અમારૂં મોટું કામ છે કહી સમયસર પેમેન્ટનો વાયદો કરી સોનાના દાગીનાનો વેપાર શરૂ કર્યો હતો.દિવ્યેશ અડેશરાએ પિયુષભાઈને ત્યાંથી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં કુલ રૂ. 26,36,246 ના દાગીના લીધા હતા.
પિયુષભાઈએ જયારે પેમેન્ટ માટે અવારનવાર ઉઘરાણી કરતા દિવ્યેશ અડેશરાએ રૂ. 5 લાખ ચૂકવ્યા હતા.જોકે, બાકી પેમેન્ટ રૂ. 21,36,246 ચૂકવ્યા વિના દિવ્યેશ દિવ્યેશ અડેશરા ફોન અને દુકાન બંધ કરી ક્યાંક ભાગી ગયો હતો.આ અંગે પિયુષભાઈએ ગતરોજ તેના વિરૂદ્ધ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.