Get The App

ચોમાસાના આગમન સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આગોતરું આયોજન : વિશ્વામીત્રી નદીના જળ પ્રવાહમાં વિઘ્ન ન આવે તે માટે ગોળાકાર પિલર બનાવ્યા

Updated: Jun 19th, 2025

GS TEAM

Google News
Google News
ચોમાસાના આગમન સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આગોતરું આયોજન : વિશ્વામીત્રી નદીના જળ પ્રવાહમાં વિઘ્ન ન આવે તે માટે ગોળાકાર પિલર બનાવ્યા 1 - image


Bullet Train Project : ચોમાસાની ઋતુમાં વિશ્વામિત્રી નદીનો પ્રવાહ બુલેટ ટ્રેનની કામગીરીમાં વિઘ્ન ન સર્જે તે માટે નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા  સ્થાનિક સ્તરે અધિકારીઓ સાથે સંકલન કરી ચોક્કસ આયોજન કરાયું છે.

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનનો ટ્રેક વિશ્વામિત્રિ નદીને 9 સ્થળોએથી ઓળંગે છે. જેની પહોળાઈ 50 થી 80 મીટર વચ્ચે છે. ઉનાળામાં સામાન્ય રીતે જળપ્રવાહ 10 થી 20 મીટર જેટલો હોય છે, જ્યારે ચોમાસામાં મુખ્ય પ્રવાહના બંને તરફના તટની ઓછી ઊંચાઈને કારણે નદી કેટલીક જગ્યાએ 100 મીટરથી પણ વધુ પહોળી થાય છે. વિશ્વામિત્રી નદીના આશરે 1.7 કિલોમીટર લાંબા માર્ગ માટે બુલેટ ટ્રેનના પીલર ગોળ આકારના બનાવવામાં આવ્યા છે. જેમાં કુલ 46 પીલરનો સમાવેશ થાય છે. જેથી નદીના જળ પ્રવાહમાં અવરોધ ન થાય. આ પીલરનો વ્યાસ 4 થી 5 મીટર સુધીનો છે જે નદીના જળપ્રવાહમાં કોઇપણ પ્રકારનો અવરોધ ઊભો કરતાં નથી. વિશ્વામિત્રી નદીમાં જળપ્રવાહ સરળ રહે તે માટે નદી અને તેના આસપાસથી તમામ કચરો અને બાંધકામ સહિતનો સામાન સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવ્યો છે. જેથી પણ કોઈ અવરોધ ઊભો ન થાય. સાઇટના ઈજનેરો, સુપરવાઈઝરો અને કામદારોને આ માટે ખાસ માર્ગદર્શન અપાયું છે. ચોમાસાની ઋતુમાં જળ સપાટી બાબતે પણ નોંધ લેવાશે. નદીના તમામ સ્થળોએથી માર્ગો/એપ્રોચ રોડ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે. મગરોના વસવાટને ધ્યાનમાં રાખીને પર્યાવરણીય નિષ્ણાતની સલાહથી મગર વ્યવસ્થાપન અને સંરક્ષણ યોજના તૈયાર કરવામાં આવી છે. સ્થળો પર સાઇનબોર્ડ મુકવામાં આવ્યા છે. જેમાં ઈમરજન્સી સંપર્ક નંબરો પણ દર્શાવાયા છે. જરૂરિયાત સ્થળોએ મગરોના પ્રવેશને રોકવા માટે સુરક્ષાત્મક વાયર ફેન્સિંગ અને બેરિકેડિંગ કરવામાં આવી છે.

Tags :