Get The App

બોરસદમાં ગેરકાયદે 100 થી વધુ ઝુંપડાં ઉપર બુલડોઝર ફેરવાશે

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
બોરસદમાં ગેરકાયદે 100 થી વધુ ઝુંપડાં ઉપર બુલડોઝર ફેરવાશે 1 - image


- મોજરા તળાવ પાસે 70 થી વધુ દબાણો દૂર કરવાનું શરૂ

- ચોમાસામાં સ્થળાંતર ન કરવું પડે માટે પાલિકાનું નોટિસ આપી આગોતરૂ આયોજન

આણંદ : બોરસદ પાલિકાના વોર્ડ નં.-૬માં ચોમાસામાં સ્થળાંતરની નોબત ન આવે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે વન તળાવની આસપાસ આવેલા ૧૦૦થી વધુ ઝૂંપડાં દૂર કરવા તંત્રએ નોટિસ ફટકારી છે. 

બોરસદના વોર્ડ નં.-૬માં વન તળાવમાં શહેરનું વરસાદી પાણી ભેગું થાય છે. ત્યારે ભારે વરસાદથી તળાવની ચારે બાજુ બાંધવામાં આવેલ ગેરકાયદે ૧૦૦ વધુ ઝુંપડામાં પાણી ઘૂસી જતા લોકોનું સ્થળાંતર કરવું પડે છે. જેની સાથે તેમને રહેવાથી માંડી તમામ સુવિધાઓ આપવાની ફરજ પણ પડે છે. વરસાદ પૂર્ણ થયા બાદ ઝુપડાંમાં ફરી લોકો ડેરો જમાવી ગેરકાયદે વસવાસ શરૂ કરી દે છે. સતત ચાર વર્ષથી આ સંદર્ભે તંત્રને મહેનત પડી રહી છે. ત્યારે હાલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ બોરસદ નગરપાલિકા ઓફિસરે ૧૦૦થી વધુ ગેરકાયદે ઝુપડાં વાસીઓને નોટિસો ફટકારીને દબાણો તાત્કાલિક દૂર કરવાનો આદેશ કર્યો છે. ત્યારે આ વિસ્તારમાં રાજકીય કાર્યકરો પણ હવે આંટા-ફેરા મારતા થઈ ગયા છે અને પોતાની મત બેંક તૂટી ન જાય તે માટે અમે કોઈ પણ સંજોગોમાં દબાણ દૂર કરવા નહીં દઈએ તેવી હૈયાધારણા આપી રહ્યા છે. હાલ ત્રણ દિવસથી મોજરા તળાવમાં ૭૦થી વધુ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરેલી છે. જે એકાદ દિવસમાં પૂર્ણ થયા બાદ વન તળાવમાં પણ નોટિસો આપી છે તેવા તમામ ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવશે તેમ પાલિકા તંત્રએ જણાવ્યું છે. 

કંસારી તળાવમાં પૂરાણ થતા ચોમાસામાં વિસ્તારમાં પાણી ભરાવાનો ભય

આણંદ જિલ્લાના સારસા ગામથી અડાસ કસુંબાડ ખડોલ પામોલ બોરસદ સહિત  ૧૫થી વધુ ગામના કાંસનું પાણી બોરસદના વન તળાવમાં થઈને કંસારી તળાવમાં જતું હોય છે. ત્યાંથી ખંભાતના અખાતમાં જાય છે. કાંસની સફાઈ વખતે બહાર કાઢવામાં આવેલો કચરો- માટી કંસારીના તળાવમાં નાખી દેવામાં આવતા પૂરાણ થઈ ગયું છે. જેથી આ વર્ષે ભારે વરસાદમાં આખા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય તેવી ભીતિ છે. 

છેલ્લા 2 વર્ષમાં 3 મોત થયા : ૮ લાખની સહાય ચૂંકવાઈ

૨૦૨૪માં બોરસદમાં થયેલા ભારે વરસાદને કારણે એક યુવકનું મોત થતા ચાર લાખ સહાત ચૂકવાઈ હતી. ૧૪૦થી વધુ અસરગ્રસ્તોને રૂપિયા ૮ લાખની કેસ ડોલ પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવી હતી. ૨૦૨૩માં પણ એક યુવકનું પાણીમાં ડૂબી જવાથી તેમજ એક યુવકનું ભોભાફળીમાં પણ પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું.

Tags :