Gujarat

સાબરમતી નદી કાંઠા નજીક બે દરગાહ સહિત દબાણ પર બુલડોઝર ફેરવી દેવાયાં

By GS TEAM
17 Nov 20253 mins read
સાબરમતી નદી કાંઠા નજીક બે દરગાહ સહિત દબાણ પર બુલડોઝર ફેરવી દેવાયાં

અંધારા ઉલેચાયા પહેલા વહેલી સવારે પોલીસ કુમક સાથે તંત્ર ત્રાટક્યું

સર્વે નંબર ૫૫૭ની સંપાદિત કરેલી પાટનગર યોજના વિભાગની ૧,૫૦૦ ચોરસ મીટર જમીન પર કબજો જમાવવામાં આવ્યો હતો

ગાંધીનગર :  પાટનગરમાં પણ તંત્રની નજર પણ ન પડે તેવા સ્થળો પાસે મોંઘામુલની સરકારી જમીન પર કબ્જો જમાવી દેવાની વાત નવી રહી નથી. ત્યારે તારીખ ૧૭મીના સોમવારે વહેલી સવારે અંધારા ઉલેચાયા પહેલાં જ સેક્ટર ૩૦માં સાબરમતી નદિ કાંઠા નજીક પોલીસ કુંમક સાથે ત્રાટકેલા તંત્ર દ્વારા બે દરગાહ અને રહેણાંક સહિત દબાણો પર બુલડોઝર ફેરવી દઇને સર્વે નંબર ૫૫૭ની સંપાદિત કરેલી પાટનગર યોજના વિભાગની ૧,૫૦૦ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

ગાંદીનગર શહેર વિસ્તારમાં રહેણાંક અને વાણિજ્ય હેતુની સાથે ધામક દબાણો પણ ચર્ચામાં રહેલા છે. દોઢ મહિના પહેલા ચરેડી અને પેથાપુર વિસ્તારમાં પાટનગર યોજના વિભાગ અને મહાપાલિકા દ્વારા મોટાપાયે દબાણો તોડી પાડવામાં આવ્યા બાદ સેક્ટર વિસ્તારમાં પણ ઢગલાબંધ નોટિસ આપીને દબાણકારોને સ્વેચ્છાએ જગ્યા ખલી કરવા અપાયેલી નોટિસનો ૭ દિવસનો સમયગાળો પુરો થઇ ગયો છે. દરમિયાન જિલ્લા કલેક્ટર મેહુલ દવેની સુચનાથી પાટનગર યોજના વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા સાબરમતી નદીના કાંઠે સેક્ટર ૩૦ના તદ્દન નિર્જન જેવા વિસ્તારમાં દબાણો ખસેડવા વહેલી સવારે ત્રાટકીને દબાણકારોને ઉંઘતા ઝડપી લીધા હતાં. જ્યાં હોંશિયાર બાવાની સહિત બે દરગાહ અને નાના, મોટા રહેણાંક મકાનો તોડી પાડવામાં આવ્યા હતાં. નોંધવું રહેશે, કે દરગાહ તરફથી આ જગ્યાની વકફ બોર્ડમાં નોંધણી કરાવાઇ હતી. જેના પગલે બોર્ડ દ્વારા આ મુલકતનું પ્રોપર્ટી કાર્ડ બનાવી આપવા વર્ષ ૨૦૨૧-૨૨માં જણાવાયુ હતું. પરંતુ સિટી સર્વેની કચેરી દ્વારા તેમનો હદ વિસ્તાર ન હોવાનું જણાવીને કોઇ પ્રક્રિયા કરાઇ ન હતી.

સેક્ટર-૨૪ ઉપરાંત ચરેડી વિસ્તારના દબાણકારો આખી રાત જાગતાં રહ્યાં

સેક્ટર ૧થી ૩૦ના વિસ્તારમાં પણ આગામી દિવસોમાં મેગા ડિમોલીશન તોળાઇ રહ્યું છે. કેમ, કે સપ્તાહ પહેલા સેક્ટર ૨૪ સહિતના વિસ્તારમાં ૧૪૦૦ જેટલી નોટિસો આપવામાં આવેલી છે. દરમિયાન સાબરમતી નદિ કાંઠા પરના દબાણો તોડવાનો પ્લાન થયાની માહિતી કોઇપણ રીતે લીક થઇ ગઇ હતી. જેના પગલે સેક્ટ ૨૪ તથા ચરેડી વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં રહેતા દબાણકારો ફફડી ઉઠયા હતાં અને સેંકડો પરિવારોએ આખી રાત રીતસર જાગતાં રહીને પસાર કરી હતી. પરંતુ પાટનગર યોજના વિભાગનું તંત્ર જુદી જ જગ્યાએ ત્રાટક્યુ હતું

પોલીસની ફોજ ઉતારીને સેક્ટર-૩૦ સર્કલ વિસ્તાર કોર્ડન કરી લેવાયો

ધામક હેતુના દબાણો તોડી પાડવાનો મુદ્દો સંવેદનશીલ બની શકતો હોય છે. ભૂતકાળમાં તંત્ર દ્વારા પાટનગરમાં ૩૦૦ જેટલા દેરી, દેરા અને નાના સહિત મંદિરો તોડી પાડવામાં આવ્યા ત્યારે ભારે હંગામો થવાના કડવા અનુભવોમાંથી સરકારી તંત્રો પસાર થયેલા છે. ત્યારે તારીખ ૧૭મીના સોમવારે વહેલી સવારે નદિ કાંઠા પર અને ચિલોડા બ્રિજ જેવી સંવેદનશીલ જગ્યાની નજીકમાં થયેલા ધામક દબાણો ખસેડવા ચલાવવામાં આવેલા ઓપરેશન પહેલા પણ આ મુદ્દાને ધ્યાને રાખીને સેક્ટર ૩૦ સર્કલ આસપાસના વિસ્તારને પોલીસે કોર્ડન કરી લીધો હતો.