- કોમન પ્લોટમાં બનાવેલ 14 દુકાન, 7 ઓરડી જમીનદોસ્ત કરાઇ
- આડોડીયાવાસ અને પ્રભુદાસ તળાવ વિસ્તારમાં કુલ 5 મકાન તોડી પાડયા
ભાવનગર એસપી નિતેશ પાંડે દ્વારા શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ, ખાસ કરીને પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આજે સવારથી પાંચ અસામાજિક તત્વોના રહેણાંક મકાનોનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેરના આડોડીયા વિસ્તારમાં ચાર મહિલા બુટલેગર અને એક શરીર સંબધિત ગુનાના સંડોવાયેલ શખ્સના ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.આજે સવારે ૮ કલાકથી શરૂ કરાયેલા ડિમોલિશનમાં મહિલા બુટલેગર અને શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા કુલ ચાર મહિલા બુટલેગરના આડોડીયાવાસમાં ગેરકાયદે બનાવી દેવાયેલા ચાર મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. તેમજ મહાનગર પાલિકાના કોમન પ્લોટમાં ગેરકાયદે બનાવી નાખેલ ૧૪ દુકાન અને ૭ ઓરડી તોડી પાડવામાં આવી હતી. આડોડીયાવાસ વિસ્તારની કામગીરી પૂર્ણ થતાં જેસીબી સાથે પોલીસ કાફલો મોહમ્મદ ઝુંબેર શેખના દબાણ દૂર કરવા પ્રભુદાસ તળાવ હવા મસ્જિદ વિસ્તારમાં આવેલ એક મકાન તોડી પાડવામાં આવ્યું હતું..આ કામગીરી માટે સિટી ડીવાયએસપી, એલસીબી, ઘોઘારોડ, બોરતળાવ અને ગંગાજળિયા પોલીસ સહિત ૨૦૦થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતી. આ કાર્યવાહીમાં કોર્પોરેશન, પીજીવીસીએલ અને ફાયર વિભાગનો સ્ટાફ પણ જોડાયો હતો . અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શહેરના અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા શખસોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
4 મહિલા બુટલેગર અને એક શખ્સ શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા હતા
ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોના મકાન પર પોલીસ તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ભાવનગર શહેરના આડોડિયાવાસ ખાતે રહેતી અંજનાબેન પંકજભાઈ રાઠોડ, મીનાબેન રાકેશભાઈ રાઠોડ,પ્રીતિબેન આરજુભાઈ, હિરલબેન નિમેષભાઈ પરમાર નામની ચાર મહિલા દારૂના ધંધા સાથે સંકળાયેલી હતી તદુપરાંત મોહમ્મદ ઝુબેર જાહીદભાઈ શેખ નામનો શખ્સ શરીર સંબંધી ગુનામા સંડોવાયેલ છે.


