Get The App

રાજકોટ મનપાનું બુલડોઝર ગરજ્યું, ભીમનગરમાં 33 ગેરકાયદે મિલકતો જમીનદોસ્ત

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
રાજકોટ મનપાનું બુલડોઝર ગરજ્યું, ભીમનગરમાં 33 ગેરકાયદે મિલકતો જમીનદોસ્ત 1 - image


Demolition Drive In Rajkot: રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં નડતરરૂપ ગેરકાયદે દબાણો સામે ફરી એકવાર લાલ આંખ કરી છે. આજે (12મી મે) ટાઉન પ્લાનિંગ વિભાગ (TP) દ્વારા શહેરના ભીમનગર વિસ્તારમાં આક્રમક ડિમોલિશન હાથ ધરીને 33 જેટલી મિલકતો તોડી પાડવામાં આવી છે.

વહેલી સવારથી ત્રાટકી મનપાની ટીમ

મળતી માહિતી અનુસાર, રાજકોટના ભીમનગર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો અને દબાણો વધી ગયા હોવાની ફરિયાદો મનપાને મળી હતી. જેની ગંભીરતાને ધ્યાને લઈને ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ આજે વહેલી સવારથી જ જેસીબી અને બુલડોઝરના કાફલા સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. માર્ગમાં નડતરરૂપ હોય તેવી અને ગેરકાયદે રીતે ઊભી કરી દેવાયેલી નાની-મોટી 33 મિલકતો પર તોતિંગ મશીનો ફેરવી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સુરત: માછીમારી કરવા ગયેલા 4 મિત્રો ડૂબ્યા, એકને બચાવવા જતાં અન્ય ત્રણ પણ ગરકાવ, એક મૃતદેહ મળ્યો

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી

ડિમોલિશન દરમિયાન સ્થાનિક સ્તરે કોઈ વિરોધ કે ઘર્ષણ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. મનપાની વિજિલન્સ શાખાની ટીમ મોટી સંખ્યામાં બંદોબસ્તમાં જોડાઈ હતી. પોલીસ અને વિજિલન્સના ચુસ્ત પહેરા વચ્ચે કોઈપણ અડચણ વગર શાંતિપૂર્ણ રીતે આખી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

દબાણકર્તાઓમાં ફફડાટ

રાજકોટ મહાનગરપાલિકાના આ કડક વલણને પગલે અન્ય વિસ્તારોમાં ગેરકાયદે દબાણ કરીને બેઠેલા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આવનારા દિવસોમાં શહેરના અન્ય ભાગોમાં પણ આ પ્રકારે સર્વે કરીને ગેરકાયદે બાંધકામો સામે ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.