વડોદરા, તા.29 ગત જુલાઇ માસમાં વડોદરા જિલ્લામાં મહી નદી ઉપર આવેલ ગંભીરા પુલનો એક હિસ્સો ધરાશાયી થયેલ. જેના કારણે પુલ પરનો વાહન વ્યવહાર બંધ થવાથી વાહનચાલકો તથા રાહદારીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે.
આ ક્ષતિગ્રસ્ત પુલની બાજુમાં નવીન પુલ બનાવવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન શરૃ કરવામાં આવી હતી અને હાલ સ્થળ પર કામ ચાલુ છે. હાલમાં નવીન પુલની ૨૨ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. નવીન પુલ નિર્માણના સમયગાળા દરમિયાન પાદરા તથા બોરસદ વિસ્તારમાં સ્થાપિત વિવિધ ઔદ્યોગિક એકમો ખાતે રોજગારી અર્થે અવર-જવર કરતાં લોકોને ડાયવર્ઝનના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત પુલનું વિસ્તૃત નિરીક્ષણ તથા પરીક્ષણ હાથ ધરી સ્ટીલ બ્રિજની વૈક્લ્પિક વ્યવસ્થાથી વાહન વ્યવહાર પુનઃસ્થાપિત કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. તેને અનુલક્ષીને તા.૧૮ નવેમ્બરના રોજ રૃા.૯.૧૨ કરોડના ખર્ચે ક્ષતિગ્રસ્ત પુલ પર નવીનતમ સ્ટીલ બ્રિજ તથા પુલના અન્ય હિસ્સાઓમાં જરૃરી સમારકામગીરી હાથ ધરવા માટે મુખ્યમંત્રી દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે.
આ મંજુર થયેલ કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ પર લેવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા પછી રસ્તા પરથી પસાર થતાં વડોદરા જિલ્લા તથા આણંદ જિલ્લાના મુસાફરોને રાહત થશે.


